Supreme Court On SC/ST Act Case : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઅત્યાચાર અધિનિયમ, 1989 (SC/ST એક્ટ) ની જોગવાઈઓ હેઠળ કોઈ વ્યક્તિ પર કાર્યવાહી કરતા પહેલા ચાર્જશીટમાં કમ સે કમ તે શબ્દોનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જે આરોપીઓએ લોકો સમક્ષ કહ્યાં હોય. તેનાથી અદાલતો ગુનાનું સંજ્ઞાન લેતા પહેલા એ જાણકારી મેળવવામાં સક્ષમ બનશે કે ચાર્જશીટમાં SC/ST એક્ટ અધિનિયમ હેઠળ કેસ બને છે કે કેમ.


ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ એક કેસની સુનાવણી કરી રહી હતી જેમાં SC-ST એક્ટની કલમ ત્રણ (1) (10) હેઠળ એક વ્યક્તિ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કલમ SC અથવા STના સભ્યને નીચુ દેખાડવાના હેતુથી સાર્વજનિક રૂપે દેખીતા સ્થાન પર ઇરાદાપૂર્વક અપમાન કરવાનો અથવા તો ધમકી આપવા સાથે સંબંધિત છે. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અવલોકન કર્યું કે, વિધાયિકાનો ઈરાદો સ્પષ્ટ જણાય છે કે, દરેક અપમાન અથવા શરમજનક ધમકી એ એસસી-એસટી એક્ટની કલમ 3(1)(10) હેઠળ ગુનો ગણાશે નહીં, સિવાય કે આવુ માત્ર પીડિતાના એસસી અથવા એસટી હોવાને કારણે આવું ન કરવામાં આવ્યું હોય.


કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ બીજી વ્યક્તિને સાર્વજનિક સ્થળે બેવકુફ, મૂર્ખ અથવા ચોર કહે છે, તો તે ચોક્કસપણે અપમાનજનક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક અપમાનજનક અથવા શરમજનક કૃત્ય હશે. જો આ શબ્દોનો ઉપયોગ SC અથવા ST વિરુદ્ધ કરવામાં આવે તો પણ, જાતિ-વિશિષ્ટ ટિપ્પણીઓના અભાવમાં આ કલમ-3(1)(10) લાગુ કરવા માટે પૂરતા નહીં રહે.


SC/ST એક્ટની કલમ-18 શું કહે છે?


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, SC/ST એક્ટની કલમ-18 CrPCની કલમ-438 હેઠળ કોર્ટના અધિકારક્ષેત્રને લાગુ કરવા પર પ્રતિબંધ મૂકે છે. આ કલમ ધરપકડની આશંકા કરનાર વ્યક્તિને જામીન આપવા સાથે સંબંધિત છે. આરોપી સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરતી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેની સામે નોંધાયેલી એફઆઈઆર અથવા તેની સામે દાખલ કરાયેલ ચાર્જશીટમાં એવો ઉલ્લેખ નથી કે, ઘટના સમયે એ સ્થળ પર ફરિયાદી અને તેના બે પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ હાજર હતું. તેથી, જો અપીલકર્તાએ કંઈક એવું કહ્યું પણ હોય જે લોકોને દેખાતું ન હોય, તો SC/ST એક્ટની કલમ 3(1)(10) નું આવશ્યક તત્વ અનુપસ્થિત છે.


કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, એફઆઈઆર અને ચાર્જશીટમાં મૌખિક દલીલ દરમિયાન ફરિયાદીની જાતિ અથવા અપીલકર્તાના નિવેદનોનો કોઈ ઉલ્લેખ નથી, સિવાય કે જાતિ સંબંધિત અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ ગયા વર્ષે મેના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામેની અપીલની સુનાવણી કરી રહી હતી, જેણે CrPCની કલમ 482 હેઠળ અરજીને ફગાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટ પાસે શું માંગણી કરવામાં આવી હતી? 


અપીલમાં ચાર્જશીટ રદ કરવાની અને અપીલકર્તા સામે પડતર ફોજદારી કાર્યવાહી રદ્દ  કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, જાન્યુઆરી, 2016માં અપીલકર્તા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ બાદ જે એક દિવસની અંદર પૂરી થઈ ગઈ હતી તપાસ અધિકારીએ આઈપીસીની વિવિધ કલમો અને એસસી-એસટી એક્ટની કલમ 3(1) (10) હેઠળ ગુનો નોંધ્યો હતો. અપીલકર્તાએ તેના આધારે અપરાધિક કાર્યવાહી રદ્દ કરવાની માંગણી કરતા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો કે ચાર્જશીટમાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી અને કાર્યવાહી માત્ર હેરાન કરવાના ઈરાદાથી હાથ ધરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરતા કહ્યું હતું કે, કોઈ કેસમાં માત્ર એક જ દિવસમાં તપાસ પૂરી કરી લેવાની પ્રક્રિયા પ્રશંસનીય હોઈ શકે છે, પરંતુ વર્તમાન કેસમાં તે ન્યાયની સેવા કરવાની સરખામણીમાં વધુ અસંગત છે.