supreme court aadhaar notice: સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડના થઈ રહેલા દુરુપયોગના મામલે ગંભીર નોંધ લીધી છે. આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખના પુરાવા પૂરતો જ મર્યાદિત રાખવાની માંગ કરતી અરજી પર કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ આખા સમાચારનો મૂળ મુદ્દો એ છે કે, કાયદાકીય રીતે આધાર કાર્ડ એ માત્ર તમારી ઓળખ સાબિત કરે છે; તે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા, જન્મ તારીખ કે રહેઠાણનો પાક્કો પુરાવો નથી. આમ છતાં, સરકારી અને ખાનગી કામકાજોમાં તેનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, જેમાં હવે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.

Continues below advertisement

શાળા અને બેંકમાં થઈ રહ્યો છે ખોટો ઉપયોગ

વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, નિયમ મુજબ આધાર કાર્ડ ફક્ત ઓળખ માટે છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે, શાળામાં બાળકનું એડમિશન કરાવવું હોય કે પછી બેંકમાં નવું ખાતું ખોલાવવું હોય, દરેક જગ્યાએ તેને જન્મ તારીખ, રહેઠાણ અને નાગરિકતાના પુરાવા તરીકે માન્ય રાખી લેવામાં આવે છે, જે ખરેખર કાયદાની વિરુદ્ધ છે.

Continues below advertisement

મતદાનનો અધિકાર આપવો કેટલી હદે યોગ્ય?

અરજદારે કોર્ટ સમક્ષ સૌથી મોટો મુદ્દો મતદાર નોંધણીનો ઉઠાવ્યો છે. હાલમાં આધાર કાર્ડને નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે પણ એક માન્ય દસ્તાવેજ ગણવામાં આવે છે. અરજીમાં દલીલ કરાઈ છે કે, લોકો માત્ર 6 મહિના કોઈ ચોક્કસ જગ્યાએ રહ્યાનો દાવો કરીને બહુ જ સરળતાથી આધાર કાર્ડ કઢાવી લે છે. આ કાર્ડ બનાવવા માટે કોઈ કાઉન્સિલર કે ગામના સરપંચનો પત્ર અથવા તો માત્ર ભાડાકરાર પણ પૂરતો સાબિત થાય છે. આટલી સરળતાથી અને કોઈ નક્કર પુરાવા વિના બનતા કાર્ડના આધારે કોઈને પણ દેશમાં સીધો જ મતદાન કરવાનો અધિકાર આપી દેવો એ બિલકુલ ખોટું છે.

આ પણ વાંચોઃ આધારમાં કેટલી વાર બદલી શકાય છે નામ, સરનામું અને મોબાઇલ નંબર? જાણી લો UIDAI નો નવો નિયમ

સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે કેસ સ્વીકાર્યો

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વી. મોહનની બેન્ચે વકીલની આ દલીલો સાંભળ્યા બાદ કેસને વધુ સુનાવણી માટે સ્વીકારી લીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજદાર અશ્વિની ઉપાધ્યાયનું ધ્યાન દોરતા કહ્યું કે, તેમણે અગાઉ પણ આધાર કાર્ડના દુરુપયોગ અંગે ઘણી અરજીઓ દાખલ કરેલી છે. બેન્ચે જણાવ્યું કે, "અમે એ વાત પર વિચાર કરીશું કે શું આ કેસની સુનાવણી તમારી જૂની અરજીઓ સાથે જ કરવી કે પછી આ મુદ્દા પર અલગથી સુનાવણી કરવાની જરૂર છે."

આ પણ વાંચોઃ પૈસાની ઈમરજન્સી છે? માત્ર આધાર કાર્ડ પર મેળવો ₹50,000 ની પર્સનલ લોન, જાણો કેવી રીતે