Supreme Court Live-in Relationship: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, લાંબા સમય સુધી સહમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ જો સંબંધ તૂટે, તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. લગ્નની ખોટી લાલચ આપીને 15 વર્ષ સુધી સાથે રહેવાના એક કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, માત્ર બ્રેકઅપ થવાથી કે સંબંધ તૂટી જવાથી કોઈ ગુનેગાર નથી બની જતું. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આવા સંબંધથી જન્મેલા બાળકને ક્યારેય ગેરકાયદેસર ન ગણી શકાય અને તેને પોતાના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો પૂરો અધિકાર છે.

Continues below advertisement

શું હતો આખો મામલો?

એક મહિલાએ એક તહસીલદાર પર આરોપ લગાવ્યો હતો કે તેણે લગ્નની લાલચ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો છે. મહિલા જ્યારે 18 વર્ષની હતી ત્યારે તે આ આરોપીને મળી હતી, તે સમયે તે વિધવા હતી. આરોપીએ તેને લગ્નનું વચન આપ્યું અને બંને લગભગ 15 વર્ષ સુધી એકબીજાની સાથે લિવ ઇનમાં રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને એક બાળક પણ થયું. બાદમાં મહિલાને ખબર પડી કે આરોપી પહેલાથી જ પરિણીત છે અને તેણે આ વાત છુપાવી હતી, એટલું જ નહીં, તેના અન્ય મહિલાઓ સાથે પણ અફેર હતા.

Continues below advertisement

સુપ્રીમ કોર્ટે પૂછ્યું  "આમાં ગુનો ક્યાં છે?"

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાની બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કરતા સીધો સવાલ કર્યો કે, "આમાં ગુનો ક્યાં બને છે? જો આમ જ ચાલશે તો, કોઈ પણ મહિલા લિવ ઇન રિલેશનશિપના બ્રેકઅપ પછી સીધી બળાત્કારની ફરિયાદ નોંધાવી દેશે. 15 વર્ષ સુધી તમે પોતાની મરજીથી સાથે રહ્યા હોવ, તો પછી તેને બળાત્કાર કેવી રીતે કહી શકાય?"

"અમને સહાનુભૂતિ છે, પણ કાયદાનો દુરુપયોગ ન થવો જોઈએ"

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર 'લગ્નનું ખોટું વચન' આપ્યું હોવાની વાતને આટલા લાંબા સંબંધ પછી બળાત્કારનો કેસ દાખલ કરવા માટેનો મજબૂત આધાર માની શકાય નહીં. કોર્ટે મહિલાને કહ્યું, "અમને તમારી સાથે પૂરી સહાનુભૂતિ છે કે તમને મૂર્ખ બનાવવામાં આવ્યા, પરંતુ માત્ર સંબંધ તોડી નાખવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત નથી થતો. સંબંધ તૂટવાનો બદલો લેવા માટે ફોજદારી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ."

બાળકને છે ભરણપોષણનો પૂરો અધિકાર

જોકે, ન્યાયાધીશોએ કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, કાયદાની નજરમાં આવા સંબંધથી જન્મેલું બાળક "ગેરકાયદેસર" નથી. તેથી, તે મહિલાને પોતાના બાળકના ઉછેર માટે પિતા પાસેથી આર્થિક ટેકો (ભરણપોષણ) મેળવવાનો પૂરો અધિકાર છે. આ સ્પષ્ટતા કર્યા બાદ, કોર્ટે બંને પક્ષોને શાંતિથી અને સમજુતીથી આ મામલાનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી કેન્દ્ર (મીડિએશન સેન્ટર) માં મોકલી આપ્યા હતા.