ચીફ જસ્ટિસ એસએ બોબડેએ અરજી પર સ્પષ્ટ ઈન્કાર કરતા કહ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ લોકોના મનમાં તેઓ ભારત રત્નથી પણ સવિશેષ છે. તેમને આ પ્રકારની કોઈ સત્તાવાર ઓળખની જરૂર નથી. તેઓ કોઈ પણ પ્રકારના ઔપચારિક સન્માનથી પણ ઉપર છે.
આ પહેલા પણ વર્ષ 2012માં કર્ણાટક હાઈકોર્ટમાં મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે કોર્ટ ગૃહ મંત્રાલયને આદેશ કરે કે તે ભારત રત્ન માટે મહાત્મા ગાંધીના નામ પર વિચારણા કરે. વર્ષ 2014માં અરજદારના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય પાસેથી આરટીઆઈ અંતર્ગત મેળવવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીજીને ભારત રત્ન આપવા અંગે અનેક વખત અપીલ કરવામાં આવી છે.