સુપ્રીમ કોર્ટે બુધવારે (17 સપ્ટેમ્બર, 2025) જણાવ્યું હતું કે પરાળી સળગાવવામાં સામેલ કેટલાક ખેડૂતોને જેલમાં ધકેલી દેવા જોઈએ જેથી બીજાઓને સંદેશ મળી શકે અને આ એક નિવારક તરીકે કાર્ય કરી શકે છે. કોર્ટ દર વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી-એનસીઆરમાં પરાળી સળગાવવાના કારણે વધતા પ્રદૂષણ સ્તર અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી.
એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચને જણાવ્યું હતું કે પરાળી સળગાવવાની સમસ્યાને ઉકેલવા માટે ખેડૂતોને સબસિડી અને સાધનોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમની કહાનીઓ એ જ હતી જેવી તેમણે અગાઉ સુપ્રીમ કોર્ટને કહી હતી.
એનડીટીવીના અહેવાલ મુજબ અપરાજિતા સિંહે કહ્યું હતું કે, "છેલ્લી વખતે ખેડૂતોએ કહ્યું હતું કે તેમને ત્યારે પરાળી સળગાવવાની ના પાડવામાં આવી છે જ્યારે સેટેલાઈટ આ વિસ્તારમાંથી પસાર થશે. હું માફી માંગુ છું, પરંતુ 2018થી સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશો પસાર કર્યા છે અને ખેડૂતો ફક્ત તેમની લાચારી વિશે બહાના બનાવી રહ્યા છે.
સરકારો દંડાત્મક જોગવાઈઓ કેમ નથી કરી રહી? સુપ્રીમ કોર્ટે કહ્યું
એમિકસ ક્યુરીની ટિપ્પણીઓ અંગે સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે વહીવટીતંત્ર આ મુદ્દાને ઉકેલવા માટે કડક જોગવાઈઓ કેમ નથી કરી રહ્યું. CJI બી.આર. ગવઈએ કહ્યું હતું કે, "જો કેટલાક લોકોને જેલમાં મોકલવામાં આવે છે તો તે અન્ય લોકોને યોગ્ય સંદેશ આપશે. વહીવટીતંત્ર ખેડૂતો માટે દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવાનું કેમ વિચારી રહ્યું નથી? જો તમે ખરેખર પર્યાવરણનું રક્ષણ કરવા માંગો છો તો તમને આમ કરવાથી શા માટે શરમ આવી રહી છે?" મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું હતું કે ખેડૂતોનો આપણા માટે એક ખાસ દરજ્જો છે. આપણને તેમના કારણે અન્ન મળે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ આનો લાભ ઉઠાવે.
CJI ગવઈની સલાહ વિશે રાજ્યોએ શું કહ્યું?
CJI ગવઈની સલાહ અંગે રાજ્યોએ કહ્યું હતું કે તેમણે કેટલાક ખેડૂતોની પરાળી બાળવા બદલ ધરપકડ કરી હતી, પરંતુ તેમાંથી મોટાભાગના નાના ખેડૂતો હતા. જો તેમની ધરપકડ કરવામાં આવે છે તો તેમના પર નિર્ભર રહેનારાઓનું શું થશે? CJI ગવઈએ જવાબ આપ્યો કે તેઓ આને રૂટીન બનાવવા માટે કહી રહ્યા નથી પરંતુ ફક્ત સંદેશ મોકલવા માટે કહી રહ્યા છે.
પંજાબ સરકારના વકીલ રાહુલ મહેરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પરાળી સળગાવવાના કેસોમાં ઘટાડો થયો છે અને આગામી વર્ષોમાં પણ તે ઘટતો રહેશે. દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો પરાળી બાળે છે જેના ધુમાડાથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર વધે છે. ખેડૂતો પોતાના ખેતરો સાફ કરવા માટે પાકના અવશેષો બાળે છે. તેમના પાસે અન્ય વિકલ્પ એ છે કે તેઓ મજૂરોની મદદથી અથવા મશીનોની મદદથી તેને દૂર કરે પરંતુ ખેડૂતો કહે છે કે બંને ખૂબ ખર્ચાળ છે.