નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ ઘાટીમાં ઇન્ટરનેટ અને લોકોની અવરજવર બંધ કરવા જેવી પાબંદીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પર સરકાર બિનકાયદેસર આદેશ અને પાબંદીઓ પાછા ખેંચે.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પુરેપુરો ઇન્ટરનેટ પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી, લોકોને પોતાની અસહમતી દર્શાવવાનો હક છે. સુપ્રીમ કોર્ટે સરકારને બિનજરૂરી આદેશો પાછા ખેંચવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં લોકોના ઘરોમાં લાગેલી બ્રૉડબેન્ડ, તથા ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારે કોઇપણ આદેશ આપતા પહેલા સંતુલન બનાવવુ જોઇએ. પુરેપુરુ ઇન્ટરનેટ બંધ કરવુ સખત પગલુ છે, લોકોની સુરક્ષા માટે આ ખતરનાક પગલુ છે.

એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, કલમ 144 લગાવતી વખતે પણ ઉંડાણપૂર્વક વિચાર કરવો જોઇએ. કોર્ટે કહ્યું કે સરકાર પોતાના બધા આદેશો પ્રકાશિત કરે. ઇન્ટરનેટ પર એક નક્કી સમયસીમા સુધી જ પ્રતિબંધ લગાવવો જોઇએ, અને વચ્ચે વચ્ચે એની સમિક્ષા થવી જોઇએ.