સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.  અત્યાર સુધી અનેક પરિણીતાઓ દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. પરંતુ ભવિષ્યમાં દહેજનો દાનવ આવી પરિણીતાઓને ભરખી ન જાય તે માટે આ ચુકાદો માઇલ સ્ટોન સમાન સાબિત થશે. સાસરિયા તરફથી મકાન ખરીદવા માટે પૈસાની માંગ કરવાને પણ દેહજ ગણવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ એએસ બોપન્ના તથા જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.


બેન્ચે કહ્યું, દહેજ શબ્દને વ્યાપક અર્થમાં વર્ણવવો જોઈએ. લગ્ન બાદ  મહિલા  પાસેથી કોઈપણ માંગ પછી તે મિલકતના સંબંધમાં હોય કે કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુનો સમાવેશ થતો હોય તેને દહેજ ગણવું જોઈએ. આ કેસમાં મૃતકના પતિ અને સસરાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમની IPC કલમ-304-B ​​(દહેજ હત્યા), આત્મહત્યા માટે ઉશ્કેરણી અને દહેજ માટે ઉત્પીડનનો મામલો નોંધાયો છે.


શું છે મામલો


એવું જાણવા મળ્યું હતું કે આરોપી ઘર બનાવવા માટે મૃતક મહિલા પાસેથી પૈસાની માંગ કરી રહ્યો હતો, જે તેના પરિવારના સભ્યો આપી શક્યા ન હતા. આ અંગે મહિલાને સતત હેરાન કરવામાં આવતી હતી જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે, ઘરના બાંધકામ માટે પૈસાની માંગને દહેજની માંગ તરીકે ન માની શકાય.  સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઇકોર્ટનો આ ફેંસલો પલટતાં કહ્યું ઘરના નિર્માણ માટે પૈસાની માંગ કરવી દહેજની માંગ છે. જેને આઈપીસીની કલમ 304 બી અંતર્ગત ગુનો ગણવામાં આવે છે.


જો માત્ર એક મહિલા બીજી સ્ત્રીને બચાવતી નથી, તો આ ગંભીર ગુનો છે


વધુ એક દહેજ ઉત્પીડન કેસમાં સાસુ-વહુની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે એક મહિલા બીજી મહિલાને બચાવતી નથી તો તે ગંભીર ગુનો છે. કોર્ટે સાસુને દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. ખંડપીઠે કહ્યું કે, તે ખૂબ જ ભયાનક સ્થિતિ છે જ્યારે કોઈ મહિલા પોતાની પુત્રવધૂ પર એવી ક્રૂરતા લાવે છે કે તે આત્મહત્યાનું પગલું ભરી શકે છે.