નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કેસ મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ કર્યો છે. કોર્ટે બધા કેસો દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઓર્ડર આપતા કહ્યું કે, પીડિતાને વળતર પર પણ અમે વિચાર કર્યો છે અને પીડિતા અને વકીલને સુરક્ષા આપવામાં આવશે. છોકરીના પરિવારજનો, કાકા અને તેના પરિવારને તત્કાલિક ધોરણે સીઆરપીએફની સુરક્ષા મળવી જોઇએ.


આ મામલે સીજેઆઇએ મોટો આદેશ આપ્યો છે, સીજેઆઇને નિર્ણય સંભળાવતા કહ્યું કે, કેસોને દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે. કોર્ટે કહ્યું કે, એક જજની કોર્ટમાં બધા મામલાની સુનાવણી થશે. કોર્ટે આદેશ આપતા કહ્યું કે, 45 દિવસમાં ટ્રાયલ પુરો કરો.



ઉલ્લેખીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતા અને તેમની કાકી અને માસી પોતાના વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના સંબંધીને રવિવારે મળવા જઈ રહ્યાં હતા. ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં બન્ને મહિલાઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતા અને વકીલની હાલત ગંભીર છે અને તે ટ્રોમાં સેન્ટરમાં વેન્ટિલેટર પર છે. પીડિતાના કાકાને એક દિવસ માટે શોર્ટ ટર્મ જામીન આપવામાં આવી હતી. જેથી તે પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરી શકે.



પીડિતાના પરિવાર સાથે થયેલા અકસ્માત બાદ રાજકીય હંગામો થતાં યૂપી પોલીસે કાર્યવાહી કરતા, રેપના આરોપમાં અગાઉની જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. સરકારે સોમવારે મોડી રાતે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.