શાહીનબાગ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ- પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરે સરકાર, મધ્યસ્થીની કરી નિમણૂક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2020 05:16 PM (IST)
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.
NEXT PREV
નવી દિલ્હીઃ શાહીન બાગમાં લગભગ બે મહિનાથી બંધ રસ્તાને ખુલતા હજુ વધુ સમય લાગશે. સુપ્રીમ કોર્ટે શાહીન બાગના મામલા પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ, કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ અનુસાર, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. આ મુદ્દો જનજીવને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે. કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે લોકોને પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અમે અધિકારોની રક્ષા કરવાના વિરોધની સામે નથી. લોકતંત્રમાં પોતાનો અવાજ જરૂર પહોચાડો. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઇને છે. જો તમામ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા તો શું થશે. આ જનજીવનને ઠપ્પ કરવાની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો છે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી જોઇએ. સાથે કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને પ્રદર્શનકારીઓને હટાવવાના ઓપ્શન પર ચર્ચા કરવા કહ્યું છે. નોંધનીય છે કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે રસ્તો બંધ છે. આ રોડ દિલ્હી અને નોઇડાને જોડે છે. રસ્તો બંધ થવાના કારણે નોઇડા અને દિલ્હી વચ્ચે સફર કરનારા લોકો અનેક કલાકો ટ્રાફિકમાં ફસાઇ રહે છે.