Case Ram Navami Reached : રામ નવમી દરમિયાન યોજાયેલી યાત્રા પ્રસંગે દેશભરમાં અનેક જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી. હવે રામ નવમી દરમિયાન થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હિન્દુઓ માટે કામ કરતી સંસ્થા હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સરઘસ દરમિયાન થયેલા રમખાણોની તપાસની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ગુજરાતમાં 30 માર્ચે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન રમખાણો થયા હતા.



સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં રમખાણોમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ અને તેમની સંપત્તિને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરવામાં આવી હતી. સાથે જ આ મામલે  ઉંડી તપાસની પણ માંગણી કરવામાં આવી છે.

દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન દેશના ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા એમ લગભગ 6 રાજ્યો કોમી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં જાનમાલની સંપત્તિને નુકશાન પહોંચ્યું છે. આ મામલે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં સંગઠને હિંસા પ્રભાવિત રાજ્યોના મુખ્ય સચિવો પાસેથી રિપોર્ટ મંગાવવાની પણ માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જે લોકો પર હિંસા ફેલાવવાનો અને સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે તેમની પાસેથી જ નુકસાની વસૂલવામાં આવે.

જાહેર છે કે, આ પહેલા સોમવારે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને હાવડામાં રામ નવમીની રેલી દરમિયાન થયેલી અથડામણ પર બુધવાર (5 એપ્રિલ) સુધીમાં કાર્યવાહીનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. આ આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસ ટીએસ શિવગ્નામ અને જસ્ટિસ હિરન્મોય ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માંગ કરવામાં આવી હતી.

તેવી જ રીતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં રામ નવમી દરમિયાન શોભાયાત્રાને મંજૂરી આપવાની પણ મોટી માંગ કરવામાં આવી છે. સંગઠને તેની અરજીમાં માંગ કરી છે કે, રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, કોઈ પણ વિસ્તારને મુસ્લિમ બહુમતી વિસ્તાર જાહેર કરીને હિન્દુઓના સરઘસ અને શોભાયાત્રાને મંજૂરી આપતા અટકાવે નહીં.

Amit Shah: ...તો દંગાખોરોને ઉંધા લટકાવીને સીધા કરી નાખીશું, અમિત શાહની ખુલ્લી ચેતવણી

Amit Shah Rally in Nawada : કેન્દ્રીય મંત્રી અમિત શાહે બિહારમાં ભડકેલી હિંસાને લઈને આકરૂ વલણ દાખવ્યું હતું. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી બિહારમાં ભાજપને તમામ 40 બેઠકો પર જીત અપાવો પછી 2025ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપને સંપૂર્ણ બહુમતી આપો. ત્યાર બાદ ઉંધા લટકેલા તોફાનીને સીધા કરવાની કામગીરી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ નવાદા જિલ્લાના હિસુઆ શહેરમાં સ્થિત ઇન્ટર સ્કૂલમાં વિશાળ જાહેર સભા કરવા પહોંચ્યા હતા. મંચ પર પહોંચીને તેમણે સૌપ્રથમ સમ્રાટ અશોકના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંચ પર પહોંચતા જ પાર્ટીના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.