હૈદરાબાદ: તેલંગણાના સંગારેડ્ડી જિલ્લામાં એક વરરાજાના પિતાએ પોતાના પુત્રના લગ્નમાં થનારા મહેમાનોને અનોખી અપીલ કરી હતી. તેમણે કંકોત્રીમાં મહેમાનોને લગ્નમાં કપલને ભેટ આપવાને બદલે આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવા જણાવ્યું હતું.




ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કંકોત્રીમાં પીએમ મોદીની તસવીર સાથે લખેલા મેસેજમાં કહ્યું "નરેન્દ્ર મોદીને એક મત સૌથી સારી ગિફ્ટ હશે જે તમે આપી શકો છો"


તેલંગણામાં એક અનોખા લગ્ન 4 એપ્રિલે પટાનચેરુમાં યોજાશે. સંગારેડ્ડી  જિલ્લામાં  રહેનારા નંદિકંતિ નરસિમ્લુ અને તેમની પત્ની નંદિકંતિ નિર્મલાએ પોતાના એકમાત્ર પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યા છે. તેમનો પુત્ર સાઈ કુમારના લગ્ન મહિમા રાની સાથે થવા જઇ રહ્યા છે.


સંગારેડ્ડી જિલ્લામાં રહેતા નંદિકંતી નરસિમલુ લાકડાનો વ્યવસાય કરે છે. તેમણે તેમના પુત્રના લગ્ન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં એક અનોખી અપીલ કરવાનો નિર્ણય કર્યો. જો કે તેમણે અગાઉ તેમની બે પુત્રીઓના લગ્ન કર્યા હતા પરંતુ તેમણે અગાઉ આવી કોઈ અપીલ કરી ન હતી. શનિવારે લગ્નની કંકોત્રી આપતા સમયે નરસિમલુએ કહ્યું કે "મારા પરિવારને આ વિચાર ગમ્યો અને મને આગળ વધવા કહ્યું હતું,"


આ પહેલીવાર નથી જ્યારે કોઈએ લગ્નના આમંત્રણ કાર્ડ દ્વારા પીએમ મોદીને વોટ કરવાની અપીલ કરી હોય. અગાઉ, ઉજ્જૈનમાં ઉદ્યોગપતિ બાબુલાલ રઘુવંશી અને જીતેન્દ્ર રઘુવંશીના ઘરે છપાયેલા લગ્નના આમંત્રણ કાર્ડમાં 2024માં મોદી સરકાર બનાવવાની અપીલ કરવામાં આવી હતી.    


નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે. 


4 જુનના રોજ પરિણામ આવશે



  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 3: 7 મે 2024 મતદાન

  • તબક્કો 4: 13 મે 2024 મતદાન

  • તબક્કો 5: 20 મે 2024 મતદાન

  • તબક્કો 6: 25 મે 2024 મતદાન

  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન