હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે આગામી 7 એપ્રિલ સુધીમાં રાજ્ય કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઇ જશે. કે.ચંદ્રશેખર રાવે કહ્યું કે તેલંગણામાં અત્યારે 70 પોઝીટિવ કેસ છે. સારવાર બાદ તેમાંથી 11નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.


હાલમાં 58 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. વિદેશમાંથી પરત ફરેલા 26 હજાર જેટલા દર્દીઓ ક્વોરેન્ટાઇનમાં છે. મુખ્યમંત્રી કેસીઆરનું કહેવું છે કે જો હવે સાત એપ્રિલ સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસનો કોઇ નવો કેસ સામે નહીં આવે તો રાજ્યને કોરોના મુક્ત જાહેર કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસ માટે ડોકટર, નર્સ, મેડિકલ ગ્રેજ્યુએટની એક જૂથ બનાવાશે. હવે અફવા ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7 લોકોના મોત થયા છે.મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં બે લોકોના મોત થયા છે. આ સિવાય કેરળ, તેલંગાણા, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં એક-એક મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 1100 થી વધુ લોકોને કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. દેશના 27 રાજ્યો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 29 લોકોના મોત થયા છે.