નવી દિલ્હી: કેંદ્રીય દૂરસંચાર મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું છે કે સરકાર હવે હરિદ્ધાર અને ઋષિકેશથી સીધું લોકોના ઘરે ગંગાજળ પહોંચાડશે. હાલ આ ગંગાજળને ઑનલાઈન ખરીદી શકો છો. પોસ્ટ વિભાગની મદદથી લોકોના ઘર સુધી ગંગાજળ પહોંચાડવાનું કામ કરવામાં આવશે.


પ્રસાદે સોમવારે ડિજિટલ ઈંડિયા પર પત્રકારો સાથે વાતચીત કરતા આ વાતની જાહેરાત કરી હતી. પરંતુ હાલ એ વાતની જાણ થઈ શકી નથી કે, ગંગાજળ કેટલી કીંમતમાં મળશે. આ જાહેરાત બાદ ડિજિટલ ઈંડિયા વેનને પણ લીલી ઝંડી આપી હતી, જે દેશભરમાં ફરીને યોજનાઓનો પ્રચાર કરશે.

આ અવસરે પ્રસાદે સરકારનું ઈ-સંપર્ક પોર્ટલ -sampark.gov.in અને ઉમંગ એપ લૉંચ કરી હતી. નેશનલ મીડિયા સેંટરમાં પ્રસાદે કેંદ્ર સરકારની ઘણી નવી યોજનાઓ અને ઉપલબ્ધિઓની જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, ડિજિટલ ઈંડિયા અભિયાનના લીધે આગલા પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 10 ખરબ ડૉલરની થઈ જશે.

પ્રસાદે પોસ્ટ વિભાગની સિદ્ધિઓને ગણાવીને કહ્યું હતું કે, સીએજીએ સ્પીડ પોસ્ટને દેશની સૌથી સારી મેલ ડિલિવરી સર્વિસનો ખિતાબ આપ્યો છે. તેમને જણાવ્યું હતું કે, 2015-16માં પોસ્ટનો રેવન્યૂ 1600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે 2013-14માં 1372 કરોડ રૂપિયા અને 2014-15માં 1495 કરોડ રૂપિયા હતો. તેમને એ પણ કહ્યું હતું કે, હાલના સમયમાં ટેલિફોન કનેક્શન લેવામાં પણ ઘણી તેજી આવી છે.