શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પને નિશાન બનાવતા આતંકીઓએ હુમલો કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષાદળો પર આ બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આતંકીએ નેહમા વિસ્તારમાં સીઆરપીએફના કેમ્પ બહાર સીઆરપીએફ બંકર પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પહેલા આજે જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકી હુમલામાં એક પોલીસકર્મી અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવી બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓના લશ્કર એ તૈયબા સાથે સંબંધો હોવાનો સંદેહ છે.

તેમણે જણાવ્યું કે સુરક્ષાદળની નાકા પાર્ટી પર હુમલામાં કેંદ્રીય રિઝર્વ પોલીસબળના બે અને જમ્મુ કાશ્મીર પોલીસના એક વિશેષ પોલીસ અધિકારીના શહીદ થયાના થોડા કલાકો બાદ આ અથડામણ શરૂ થઈ હતી.