નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ પર ફેબ્રુઆરી સુધીમાં કાબુ મેળવી લેવાશે તેવો વૈજ્ઞાનિકોનો દાવો છે. દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થાઓએ એક સંશોધનમાં દાવો કર્યો છે કે દેશમાં આગામી સમયમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા કેટલાક હજાર સુધી મર્યાદિત રહી જશે. જેથી સરકારોને કોરોનાની સારવારમાં સરળતા રહેશે.


આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરની અધ્યક્ષતામાં બનેલી એક સમિતિએ રવિવારે તેના રિસર્ચના પરીણામો જાહેર કર્યા હતા. વૈજ્ઞાાનિકોના અહેવાલનો પડઘો પાડતાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે નવરાત્રી, દિવાળી, છઠના તહેવારોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે લોકોને બધા જ તહેવારો પોતાના ઘરમાં જ પારંપરિક રીતે ઊજવવા વિનંતી કરી હતી.

દેશમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 58,179 કેસ નોંધાયા હતા અને વધુ 574નાં મોત નીપજ્યાં હતા જ્યારે 68,049 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 75,43,899 થયા છે અને મૃત્યુઆંક 1,14,557 થયો છે જ્યારે કોરોનાના કુલ 66,51,912 દર્દીઓ સાજા થઈ ગયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું હતું.