નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સામુદાયિક સંક્રમણ શરૂ થઈ ગયું છે અને લોકો એકબીજાના સંપર્કમાં આવવાના કારણે કોરોનાનો ભોગ બની રહ્યા છે એવા સમાચાર કેટલાક મીડિયામાં પ્રસિધ્ધ થયા હતા. મોદી સરકારે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. મોદી સરકારનો દાવો છે કે, વાસ્તવિકતા એ છે કે દેશમાં સામુદાયિક સંક્રમણ શરૂ થયાની વાત સાચી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરાયેલી સ્પષ્ટતા પ્રમાણે, આ વાત ખોટી છે તેથી લોકોએ ડરવાની જરૂર નથી.


આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કહેવાયું છે કે, દેશમાં કોવિડ 19નું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું હોવાથી હવે પછીના તબક્કામાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસો નોંધાશે. આ અહેવાલમાં જણાવાયું હતું કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન હોસ્પિટલના બોર્ડ ઓફ ઈન્ડિયા ચેરમેન ડો. વી.કે. મોંઘાએ એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો.