નવી દિલ્હી: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે 2014ની ચૂંટણી દરમિયાન પોતાની સામેના ગુનાહિત કેસની માહિતી પોતાના સોગંદનામામાં આપી નહોતી. બાદમાં તેમની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરીને કોર્ટે કહ્યુ હતુ કે તમારી સામે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે જેની માહિતી 2014ની ચૂંટણી દરમિયાન તમે પોતાના શપથ પત્રમાં નહોતી આપી માટે તમે ટ્રાયલનો સામનો કરો. કોર્ટ આ ચુકાદા બાદ દેવેન્દ્ર ફડણવીસે કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે ફડણવીસને રાહત આપવાનો ઈનકાર કરી દીધો અને તેમની અરજી ફગાવી દીધી.


કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અમને નથી લાગતુ કે ફરીથી આ પુનર્વિચાર અરજી પર કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની જરૂર છે. ત્રણ જજોની બેંચમાં જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસ પણ શામેલ છે. જેમણે દેવેન્દ્ર ફડણવીસની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે.

આ બંને કેસ નાગપુરના છે. દેવેંદ્ર ફડણવીસ સામે 1996માં અને 1998માં માનહાની અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે ફડણવીસે જાણી જોઈને જાણકારી છુપાવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે વકીલ સતીશ ઉકેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખર કરી આરોપ લગાવ્યો હતો કે 2014ની ચૂંટણી નામાંકન દાખલ કરવામાં ફડણવીસે ખોટુ સોંગધનામું દાખલ કર્યું હતું. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાની સામેના બે કેસની જાણકારી છુપાવી છે.