નવી દિલ્હીઃ મોદી સરકારે ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું 9 ટકા વધારીને 12 ટકા કરવામાં આવ્યું છે. જે 1 જાન્યુઆરી, 2019થી લાગુ થશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર 9168 કરોડ રૂપિયાનો બોજ પડશે.


અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને મંજૂરી

કેબિનેટ બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલે કહ્યું કે, મંત્રીમંડળે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠની રિજયોનલ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ(RRTS)ના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 30274 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના આકાર પામશે. કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી હતી.


કેબિનેટમાં આ નિર્ણયો પણ લેવામાં આવ્યા

કેબિનેટની બેઠકમાં ત્રણ તલાક અધ્યાદેશને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ બિલને 27 ડિસેમ્બરે લોકસભાની મંજૂરી મળી હતી પરંતુ તેને રાજ્યસભામાં મંજૂરી નહોળી મળી. આ ઉપરાંત ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ, કંપની લૉ સંશોધન અને બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ સંબંધિત ઓર્ડિનન્સને કેબિનેટે મંજૂરી આપી હતી.