નવી દિલ્હી : ભારતમાં કોરોના દર્દીઓના ઘટના મૃત્યુદરને જોતા કેન્દ્ર સરકારે સ્વદેશી વેન્ટિલેટરના નિકાસને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. Covid 19 માટે બનાવેલા મંત્રીઓના ઉચ્ચ સ્તરીય સમૂહ (ગ્રુપ ઓફ મિનિસ્ટર)એ સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવતા સ્વદેશી વેન્ટિલેટરના નિકાસને મંજૂરી આપી દીધી છે. સ્વદેશી નિર્મિત વેન્ટિલેટરના નિકાસની સુવિધા શરુ કરવા માટે આગળની કાર્યવાહી માટે આ નિર્ણયની જાણકારી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGTF)ને આપવામાં આવી છે.
ભારતમાં મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં 2.15 ટકા છે. 31 જુલાઇએ સમગ્ર દેશમાં સંક્રમિત દર્દીઓમાંથી માત્ર 0.22 કેસ વેન્ટિલેટર પર હતા. તે સિવાય ભારતમાં વેન્ટિલેટર નિર્માણ કરનારી કંપનીઓમાં પણ વધારો થયો અને હવે 20 જેટલી કંપનીઓ વેન્ટિલેટર બનાવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ અને વેન્ટીલેટરની માંગ વધતા માર્ચમાં વેન્ટિલેટરની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે તેનું ઉત્પાદન પણ વધતા અને સામે જરૂરિયાત ઓછી થતા તેના નિકાસનો માર્ગ મોકળો થયો છે.
જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસ કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 764 લોકોના મોત થયા છે અને 57,117 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 16,95,988 પર પહોંચી છે અને 36,511 લોકોના મોત થયા છે. 10,94,374 લોકો સાજા થઈ ગયા છે અને 5,65,103 એક્ટિવ કેસ છે.