સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટ્ટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉંચકાવવાનું પણ અનુમાન વ્યકત કરાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
રાજકોટમાં વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યારાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. શહેરમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. ગવલીવાડની બાજુમાં આવેલા પાણીના વોકળાનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન શોપિંગ કોમ્પલેક્ષ અને ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અહીં 4000 જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરે છે. સ્થાનિકોએ પ્રશાસનની બેદરકારીના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. ત્યારે નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.
રાજકોટના સદર બજાર વિસ્તારમાં પણ વોકળાના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. સર્વેશ્વર ચોકમાં વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ વળી ગયું હતું. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. બાદમાં સ્થાનિકો અને મનપાએ પાણીનો નિકાલ કર્યો હતો.
ડાંગના ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાત્રીના વરસાદ બાદ સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સનરાઈઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયું હતું.