લખનઉઃ કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. અનેક જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બનતા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.  આ દરમિયાન રાજ્યમાં વીકેન્ડ લોકડાઉનમાં દારૂની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.


સરકારે જણાવ્યું કે, વીકેન્ડ લોકડાઉનમાં દારૂ-બીયરની દુકાનોને છૂટ આપવામાં આવી છે. તેના સમયમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. દારૂની દુકાનો પહેલાની જેમ તેમના સમય સાવરે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી દુકાનોને આ લાગુ નહીં પડે.



કોરોનાના વધતા કેસને નિયંત્રિત કરવા ઉત્તર પ્રદેશ સરકારે બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. સ્વચ્છતા, સેનિટાઇઝેશન અને સામાજિક અંતરના હેતુથી સરકારે રાજ્યમાં શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ મુક્યા છે. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકડાઉનમાં શરૂઆતમાં શરાબની દુકાનો પણ બંધ કરવામાં આવી હતી પરંતુ નવી વ્યવસ્થા અંતર્ગત તમામ દેશી-વિદેશી દારૂ, બીયર તથા ભાંગની દુકાનો તથા મોડલ શોપને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

લોકડાઉનમાં દારૂની દુકાનો પણ બંધ થઈ ગઈ હતી, પરંતુ શરાબની દુકાનો બંધ હોવાથી રાજ્ય સરકારને રેવન્યૂમાં ઘણું મોટું નુકસાન થયું હતું. જે બાદ ચાર મે થી કેટલાક નિયમો સાથે દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60,771 પર પહોંચી છે. 1,348 લોકોના મોત થયા છે. 37,712 લોકો સાજા થઈ ગયા છે અને 21,711 એક્ટિવ કેસ છે.