લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન ખતમ કરી દીધું છે. હવે માત્ર રવિવારે જ સંપૂર્ણ લોકડાઉન રહેશે. મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ કર્યો કે, બજાર હવે સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખોલી શકાશે. શનિવારે પણ દુકાનો ખોલી શકાશે. નવા નિર્દેશ મુજબ શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી બધુ બંધ રહેશે. આ વાતની જાણકારી રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ આપી હતી.


ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હતું, જેને લઈ યોગી સરકારે સપ્તાહના બે દિવસ શનિવાર અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે રાજ્યમાં સંક્રમણના નવા મામલા ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ કોરોનાને લઈ રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. માસ્ક ન પહેરતા લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા રવિવારે યોગી સરકારે અનલોક-4ની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. જે અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોન બહાર ડીએમ સ્થાનિક સ્તરે કોઈ લોકડાઉન નહીં લગાવી શકે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઉત્તરપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,788 છે. રાજ્યમાં 1,72,170 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. જ્યારે 3,486 લોકોના કોરોનાથી મોત થયા છે.