નવી દિલ્હી: ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્રિવેન્દ્ર રાવતે ખુદ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાનું ત્રણ દિવસીય શિયાળુ સત્ર 21 ડિસેમ્બરથી શરુ થવાનું છે. તેના પહેલા મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થવાથી સરકારની મુશ્કેલી વધી શકે છે.


મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે ટ્વીટ કરી કે, આજે મે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત હાલમાં સારી છે અને કોઈ લક્ષણ નથી. છતા ડૉક્ટર્સની સલાહ પર હું હોમ આઈસોલેશનમાં છું. મારી સૌને વિનંતી છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાના આઈસોલેટ કરી પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.



ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં કોરોનાનો કહેર યથાવત છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 84,689 છે જ્યારે હાલ 6062 એક્ટિવ કેસ છે. અહીં અત્યાર સુધી 1384 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.