રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેનના વિસ્તરણ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ (USBRL) ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ થશે અને પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી વંદે ભારત મેટ્રો ટ્રેન જમ્મુ અને શ્રીનગર વચ્ચે ચલાવવામાં આવશે. ભારતીય રેલ્વે સુવિધાઓ સુધારવા અને રેલ નેટવર્ક વધારવા માટે સતત કામ કરી રહી છે.


રેલવે મંત્રીએ કહ્યું કે કાશ્મીરના બડગામમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની મેઇન્ટેનન્સની સુવિધા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે જલ્દીથી આ રેલ્વે લિંક તૈયાર થઈ જશે. વંદે ભારત મેટ્રો ટ્રેન તેના પર દોડશે. આ વંદે ભારત મેટ્રો જમ્મુ અને શ્રીનગર વચ્ચે દોડશે. આ રેલવે લિંક કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડશે.


અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે એકવાર કાશ્મીર ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જમ્મુથી શ્રીનગર સુધીની મુસાફરી મુસાફરો માટે સરળ બનશે. ટ્રેન સેવા શરૂ થયા બાદ જમ્મુથી શ્રીનગરની સફર 3.5 કલાકમાં પૂરી કરી શકાશે. તેમણે કહ્યું કે એકવાર રેલ્વે લાઇન ખુલી જશે તો જમ્મુ અને કાશ્મીરથી સફરજન અને અન્ય કૃષિ પેદાશોનું પરિવહન સરળ બનશે.


આ ટ્રેન ખાસ હશે


કાશ્મીર માટે ખાસ વંદે ભારત ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ટ્રેન કારણ કે ત્યાંનું તાપમાન દેશના અન્ય ભાગો કરતા અલગ છે. શિયાળાની ઋતુમાં પણ ભારે હિમવર્ષા થાય છે, જેથી રેલવે ટ્રેક પર બરફના ઢગલા જોવા મળે છે. ટ્રેનમાં કેટલીક એવી વ્યવસ્થા હશે કે તે બરફવર્ષામાં પણ સરળતાથી ચાલી શકે. તેમજ ટ્રેનની અંદર તાપમાનને નિયંત્રિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે.


દેશમાં અત્યાર સુધીમાં 10 વંદે ભારત ચાલી રહી છે. જોકે, ટૂંક સમયમાં વધુ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમાંથી એક વંદે ભારત ટ્રેન મધ્યપ્રદેશને મળશે જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે ભોપાલ પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ મધ્યપ્રદેશને મળનારી પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ માહિતી આપી છે.


અત્યાર સુધીમાં દેશમાં વિવિધ આંતરરાજ્ય માર્ગો પર 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જેમાં મુંબઈ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસીના રૂટ પર દોડી હતી.  આ પછી રેલવેએ નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, ગાંધીનગર-મુંબઈ, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નઈ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા-નવી જલપાઈગુડી, સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ, મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાઈનગર શિરડી શરૂ કરી છે.