મધ્ય‍ પ્રદેશના એક ગામમાં યુવાઓએ એક શહીદની પત્નીને મોટી ભેટ આપી છે. ઈન્દોર જિલ્લાના બેટમા ગામમાં યુવાનોએ ઝૂંપડી જેવા ઘરમાં રહેતા શહીદના પરિવારને ભેટમાં નવું ઘર આપ્યું છે. નોંધનિય છે કે, ગામના મોહનસિંહ 1992માં શહીદ થયા હતાં. ત્રિપુરામાં ઉગ્રવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા એમ્બુશમાં તેઓ શહીદ થયા હતા. તેઓ બીએસએફમાં ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના અનેક વર્ષો પસાર થયા બાદ પણ સરકાર તરફથી પરિવારની કોઈ મદદ મળી નહતી.

પરંતુ જ્યારે લાંબા સમય સુધી સરકારે કોઈ ધ્યાન ન આપ્યું તો ગામના યુવાઓએ જ શહીદના પરિવારને પાકું મકાન ભેટ કરવાનું પ્રાણ લીધું હતું. યુવાઓએ દાનના માધ્યમથી 11 લાખ રૂપિયા એકત્ર કર્યાં હતાં. તેના માટે યુવાઓએ અભિયાન પણ ચલાવ્યું હતું. અભિયાન સાથે જોડાયેલા વિશાલ રાઠી મુજબ મકાન નિર્માણમાં લગભગ 10 લાખનો ખર્ચ થયો હતો. જ્યારે બાકીના એક લાખ રૂપિયા યુવાઓએ મોહનસિંહની પત્નીને આપી દીધા હતાં.

યુવાઓએ મોહનસિંહની પત્નીનું તેમના નવા ઘરમાં સ્વાગત હથેળીઓ જમીન પર મૂકીને કરી હતી. યુવાઓએ રક્ષાબંધન પર ભાઈઓની બહેન માટે ભેટ પણ ગણાવી છે. હાલ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

યુવાઓની આ ઈચ્છા શક્તિના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ વખાણ કરતાં ટ્વિટ કર્યું હતું કે, ગામના યુવાઓએ જનસેવાની દાખલો રજૂ કરી રક્ષાબંધનના તહેવારને સાર્થક બનાવ્યો છે. યુવાઓના આ ઉત્સાહને સલામ, તેમનું આ કાર્ય તમામ માટે પ્રેરક છે.

યુવાઓના આ પ્રયાસના વખાણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કર્યાં છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, ઈન્દોરના બેટમા ગામના યુવાઓએ શહીદના પરિવારની મદદ કરી દેશભક્તિની મિસાલ કાયમ કરી છે.

તમારા જેવા યુવા જ ભારતની અસલી ઓળખ છે. આપ સૌએ સાચા અર્થમાં પુરવાર કર્યું છે કે, દેશની રક્ષા કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારાના પરિવાર તેમના ગયા બાદ દેશનો પરિવાર બની જાય છે.