જયનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની લહેર છે અને પાર્ટી 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. તેમણે જયનગરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું પ્રથમ તબક્કામાં બંગાળમાં થયેલા શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપને ભારે સમર્થન આપ્યું છે. 


પીએમ મોદીએ કહ્યું કે કેટલાક સપ્તાહ પહેલા સુધી બંગાળના લોકો કહી રહ્યા હતા કે ભાજપ આ વખતે 200 બેઠકો પાર કરી જશે. પરંતુ પ્રથમ તબક્કામાં જે રીતે દમદાર શરૂઆત ભાજપે કરી છે, તેનાથી નક્કી છે કે જનતાના અવાજને ઈશ્વરના પણ આર્શીવાદ મળી ગયા છે. બંગાળમાં ભાજપની જીતનો આંકડો 200ને પાર જશે. 



તેમણે કહ્યું કે આજે બીજા તબક્કામાં પણ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. દરેક બાજુ ભાજપની લહેર છે.


પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે ધમકી અને ગાળો આપનારા દીદી કહી રહ્યા છે- Cool Cool! દીદી, તૃણમૂલ, કૂલ નહી, બંગાળના લોકો માટે શૂલ છે. બંગાળના અસહ્ય પીડા આપનાર શૂલ છે તૃણમૂલ. બંગાળને રક્તરંજિત કરનાર શૂલ છે તૃણમૂલ. બંગાળ સાથે અન્યાય કરનાર શૂલ છે તૃણમૂલ.


તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દીદીના નિર્ણયો બંગાળના રાજકારણના ઓપિનિયન પોલ બની ગયા છે અને એક્ઝિટ પોલ પણ બની ગયા છે. દીદીની દરેક એક્શન જોઈ લો, બધુ સ્પષ્ટ જોવા મળે છે. 


પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા દરમિયાન રાજ્યના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે મતદાન થયું હતું. બીજા તબક્કા માટે ચાર જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.  ત્રીજા તબક્કામાં 31 વિધાનસભા બેઠકો પર છ એપ્રિલે, ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 બેઠકો પર 10 એપ્રિલે, પાંચમાં તબક્કામાં 6 જિલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કામાં ચાર જિલ્લાની 43 બેઠકો પર 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં પાંચ જિલ્લાની 36 બેઠકો પર અને આઠમાં તબક્કામાં ચાર જિલ્લાની 35 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે.