નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરે થયેલી બે બેઠકોની પેટાચૂંટણી અને બંગાળમાં ઉમેદવારોના નિધનના કારણે મોકૂફ રખાયેલી બે બેઠકો પર આજે મતગણતરી શરૂ થઈ છે. આ ચારેય બેઠકો પર ભાજપની કારમી હારના સંકેત મળી રહ્યા છે.  આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે તેમાં પશ્ચિમ બંગાળની ભબાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપનાં પ્રિયંકા ટિબ્રેવાલ સામે 6 હજાર કરતાં વધારે મતે આગળ હોવાથી તેમની જીત પાકી મનાય છે.


પશ્ચિમ બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સહિત ત્રણેય વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. ભબાનીપુર ઉપરાંત બંગાળની શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ તૃણમૂલ કોંગ્રેસ આગળ છે. 1200 મતે તૃણમૃલ આગળ છે.  ઓડિશામાં પીપલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બીજુ જનતા દળના ઉમેદવાર રુદ્ર પ્રતાપ મહારથી ભાજપના આશ્રિત પટનાયકથી 3000 કરતાં વધારે મતે આગળ છે.


ભબાનીપુરમાં મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો ત્યારે મમતા બેનર્જી ભાજપની પ્રિયંકા ટિબ્રેવાલથી 4600 મતથી આગળ હતાં.  મમતા બેનર્જી પોસ્ટલ મતોની ગણતરીમાં જ આગળ નિકળી ગયાં હતાં.  તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવે છે કે મમતા 50 હજાર મતોથી વિજય મેળવશે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ આગળ છે...


ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મમતા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી બંગાળ, ભવાનીપુર, જંગીપુર અને શમશેરગંજની ત્રણ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ભવાનીપુરમાં 21, જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જો કે, રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણી માટે મત ગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોલકાતામાં મતગણતરી સંકુલ પાસે અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવાનીપુર બેઠક પર 53.32% મતદાન નોંધાયું હતું. મુર્શીદાબાદ જિલ્લાની શમશેરગંજ બેઠક અને જંગીપુર બેઠકમાં અનુક્રમે 78.60% અને 76.12% મતદાન નોંધાયું હતું