પશ્ચિમ બંગાળમાં હિંસા: ભાજપના 7 કાર્યકર્તા ઘાયલ, ટીએમસી પર લાગ્યો હુમલાનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Dec 2020 06:45 PM (IST)
ભાજપના સ્થાનિક તેના લેખન ધોરુઈએ કહ્યું કે, તૃણમુલ કૉંગ્રેસના ગુંડાઓએ ફાયરિંગ કર્યું અને બોમ્બ ફેક્યા હતા.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં શનિવારે એકવાર ફરી હિંસક અથડામણ થઈ હતી. તેમાં ભાજપના સાત કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા છે. આ ઘટના એ સમયે બની જ્યારે ભાજપના કાર્યકર્તા બર્ઘમાન જિલ્લામાં સંપર્ક અભિયાન પર હતા. ટીએમસી કાર્યકર્તાઓ પર આ હુમલાનો આરોપ લાગ્યો છે. બર્ઘમાન જિલ્લાના આસનસોલ સ્થિત જામગ્રામમાં રેલી દરમિયાન બોમ્બ પણ ફેકવામાં આવ્યા. ભાજપના સ્થાનિક નેતા લેખન ધોરુઈએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ ફાયરિંગ કર્યું અને બોમ્બ ફેક્યા હતા. જેમાં સાત લોકો ઘાયલ થયા છે. પોલીસ પાસે મદદ માંગ્યા બાદ પણ તેઓ આગળ નથી આવ્યા. બીજી તરફ ટીએમસીએ ભાજપ પર આ હિંસાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીના વિધાન ઉપાધ્યાયે કહ્યું કે, ભાજપની રેલી હતી, જેમાં તેઓ બોમ્બ લઈને આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ અમારા ઉપર હુમલો કર્યો હતો. અમે તેની નિંદા કરી છીએ. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા સતત ભાજપ અને રાજ્યની સત્તાધારી ટીએમસી વચ્ચે અથડામણના સમાચારો આવી રહ્યાં છે.