કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાગૂ કરવાની કવાયત વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, એનઆરસી લાગૂ થવાથી પ.બંગાળની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થશે. મમતા બેનર્જીએ ફરી એક વખત કહ્યું પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગૂ નહી થાય.


મમતા બેનર્જીએ કહ્યું, પશ્ચિમ બંગાળ શાંતિપૂર્ણ માહોલ વાળુ રાજ્ય છે અને જો એનઆરસી લાગૂ થાય છે તો અહીંની શાંતિ વ્યવસ્થા ખરાબ થશે. મમતા બેનર્જીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે પ્રદેશ સરકાર આપની સાથે હતી અને આ મુદ્દા પર હંમેશા તમારી સાથે જ રહેશે. તેમણે કહ્યું, આ અમારો લોકતાંત્રિક અધિકાર છે કે આપણે આપણા દેશમાં રહીએ. બંગાળને એનઆરસીની જરૂર નથી અને તેને કોઇપણ રીતે અહીં લાગૂ ન કરવો જોઇએ.

મમતા બેનર્જીએ હાલમાં જ એક નિવેદન આપતા ભાજપ પર પ્રદેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું કે પ્રદેશમાં એનઆરસીના કારણે લોકોના મનમાં ડર છે અને આ કારણે પ્રદેશમાં ઘણા લોકોના મોત પણ થયા છે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે બીજેપી પોતાના રાજનૈતિક પ્રોપેગેન્ડા હેઠળ 'નકલી અભિયાન' ના માધ્યમથી કહી રહી છે કે તે બંગાળમાં પણ એનઆરસી સૂચી લઇને આવશે. એમણે કહ્યું હતું કે 'બંગાળ છોડો, એનઆરસી કોઇ અન્ય રાજ્યમાં પણ આવી શકશે નહીં.

ગત મહિને 12 સપ્ટેમ્બરના મમતા બેનર્જીએ અસમમાં એનઆરસીના વિરૂદ્ધમાં કોલકાતામાં રેલી કાઢી અને કેંદ્ર સરકારને કહ્યું કે કે તેઓ એનઆરસીના નામ પર આગથી ન રમો.