પશ્ચિમ બંગાળમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલા એક મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ સર્વે મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) 184 થી 194 બેઠકો જીતીને સતત ચોથી વખત બંગાળમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP) ને 98 થી 108 બેઠકો મળવાનું અનુમાન છે. સર્વે દર્શાવે છે કે બંગાળની જનતા હજુ પણ મમતા દીદી પર વિશ્વાસ મૂકી રહી છે.

મતદાનની તારીખો અને બેઠકોનું ગણિત

બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આવતા મહિને મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં 23 થી 29 એપ્રિલ દરમિયાન 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યની વિધાનસભામાં કુલ 294 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 148 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરવો પડે છે. CNN-News18 અને Vote Vibe દ્વારા કરવામાં આવેલા આ પ્રી-પોલ સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. વોટ શેર (મતની ટકાવારી) ની વાત કરીએ તો, 41.9 ટકા લોકોએ TMC ને સમર્થન આપ્યું છે, જ્યારે 34.9 ટકા લોકો ભાજપની સાથે જોવા મળ્યા છે.

Continues below advertisement
Continues below advertisement

મુખ્યમંત્રી પદ માટે મમતા દીદી જ પહેલી પસંદ

સર્વેના આંકડા સ્પષ્ટ બતાવે છે કે બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ હજુ પણ ચાલી રહ્યો છે અને તેઓ જ TMC ની જીતની મુખ્ય ચાવી છે. 48.8 ટકા લોકો આજે પણ તેમને જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને 33.4 ટકા લોકોએ સીએમ પદ માટે પસંદ કર્યા છે.

રાજ્ય સરકારના કામકાજ વિશે પૂછવામાં આવતા 43.3 ટકા લોકોએ તેને 'સારું' અથવા 'ખૂબ સારું' ગણાવ્યું હતું. જોકે, અમુક વર્ગ નારાજ પણ છે; 20.6 ટકા લોકોએ કામગીરીને 'ખૂબ જ ખરાબ' અને 18.3 ટકા લોકોએ 'ખરાબ' પણ કહી છે. આમ છતાં, 36.5 ટકા મતદારો એવા છે જે પોતાના વર્તમાન TMC ધારાસભ્યને ફરીથી ચૂંટવા માંગે છે.

જાતિગત સમીકરણો: કોણ કોની સાથે?

આંકડાઓ પર નજર કરીએ તો, મુસ્લિમ સમુદાયમાં મમતા બેનર્જીની પકડ ખૂબ જ મજબૂત છે. આ સમુદાયના 44.2 ટકા લોકોએ સરકારના કામને બિરદાવ્યું છે. સામે પક્ષે, અનુસૂચિત જનજાતિ (ST) અને સવર્ણ હિન્દુ મતદારો સરકારથી સૌથી વધુ નારાજ જોવા મળ્યા છે; આ બંને વર્ગના 26.6 ટકા લોકોએ સરકારની કામગીરીને સાવ નબળી ગણાવી છે.

ભાજપ ક્યાં થાપ ખાઈ રહી છે?

આ ઓપિનિયન પોલમાં બંગાળમાં ભાજપની નબળાઈઓ પણ છતી થઈ છે. સર્વેમાં ભાગ લેનારા લોકોએ ભાજપ પાછળ રહેવાના મુખ્ય 3 કારણો આપ્યા છે:

19.9 ટકા લોકોનું માનવું છે કે ભાજપમાં અંદરખાને ચાલતો ડખ્ખો અને જૂથવાદ તેમને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે.

17.2 ટકા લોકો માને છે કે ભાજપ પાસે રાજ્ય સ્તરે કોઈ મજબૂત અને જાણીતો ચહેરો નથી.

12.5 ટકા લોકો એવું વિચારે છે કે ભાજપ બંગાળની સ્થાનિક સંસ્કૃતિ અને ભાવનાઓને હજુ બરાબર સમજી શકી નથી.