કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સોમવારે અટકળો ચાલી રહી છે કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને રાજ્ય પોલીસ તરફથી ઝેડ શ્રેણીની સુરક્ષા મળી શકે છે. પરંતુ હાલ રાજ્ય સચિવાલય અને તૃણમૂલ કૉંગ્રેસના ટોચના નેતૃત્વએ તેના પર કોઈ નિવેદન નથી આપ્યું. એ પ્રકારની પણ અટકળો ચાલી રહી છે કે પ્રશાંત કિશોર 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે. આ ઘટનાક્રમ પર સીપીઆઈએમ ધારાસભ્ય દળના નેતા સુજાન ચક્રવર્તીએ પુછ્યું કે રાજ્ય સરકારના ખર્ચ પર પ્રશાંત કિશોરને ઝેડ ક્ષેણીની સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળના જનજીવન સાથે તેમને કોઈ સંબંધ નથી.


પ્રશાંત કિશોર હાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે કામ કરી રહ્યા છે. પ્રશાંત કિશોર અને મમતા બેનર્જી વચ્ચે ઘણી બેઠકો પણ યોજાઈ છે. લોકસભા ચૂંટણીમાં સફળતા બાદ ભાજપની હિમ્મત સાતમાં આસમાન પર છે અને મમતા બેનર્જી જાણે છે ભાજપ કેટલો મોટો ખતરો બની ગયું છે. આજ કારણે પ્રશાંત કિશોર અને તેની ટીમ મિશન બંગાળમાં લાગી ગઈ છે.

પ્રશાંત કિશોર પ્રથમ વખત 2014ની લોકસભા ચૂંટણીમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. ચૂંટણીમાં પીએમ મોદીને શાનદાર સફળતા મળી હતી. 2015માં પ્રશાંત કિશોરે બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયૂના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. નીતિશ કુમાર અને લાલુ યાદવને સાથે લાવવામાં પ્રશાંત કિશોરની મુખ્ય ભૂમિકા માનવામાં આવે છે.

પ્રશાંત કિશોરની સંસ્થા આઈ-પીએસીને 2019માં ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજેડી માટે અને આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કૉંગ્રેસ માટે કામ કર્યું અને બંને પક્ષો સત્તામાં છે. કિશોરે હાલમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ માટે કામ કર્યું અને તેમને પણ બંમ્પર સફળતા મળી છે.