મુંબઈ: લોકડાઉના કારણે દેશના મોટા શહેરોમાં ફસાયેલા મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવા માટે સ્પેશલ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલવેના નિર્ણયથી લાખો પ્રવાસી મજૂરો અને તેમના પરિવારને ફાયદો થયો છે. પશ્ચિમ રેલવેએ 2 મે 2020થી 1 જૂન 2020 સુધીમાં 1214 શ્રમિક સ્પેશલ ટ્રેનો ચલાવી 18.23 લાખથી વધુ પ્રવાસી મજૂરો અને તેમના પરિવારને તેમના ગૃહ રાજ્ય પહોંચાડ્યા છે.


પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર બાકરે જાણકારી આપતા કહ્યું, આ શ્રમિક સ્પેશલ ટ્રેનોમાંથી 686 ટ્રેન ઉત્તરપ્રદેશ, 274 બિહાર, 94 ઓરિસ્સા, 31 મધ્યપ્રદેશ, 42 ઝારખંડ, 16 છત્તીસગઢ, 9 રાજસ્થાન, 6 ઉત્તરાખંડ, 35 પશ્ચિમ બંગાળ અને 4 ગુજરાત માટે ચલાવવામાં આવી છે.

જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે કેટલીક શ્રમિક સ્પેશલ ટ્રેનો મણિપુર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, આસામ અને મહારાષ્ટ્ર માટે પણ ચલાવવામાં આવી છે. આ ટ્રેનો મારફતે 2 મે 2020થી 1 જૂન 2020 સુધીમાં અલગ-અલગ રાજ્યોના 18.23 લાખથી વધુ પ્રવાસી મજૂરો અને તેમના પરિવારને તેમના ગૃહ રાજ્ય પહોંચાડ્યા છે.