નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ આજે 67મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે બિહાર અને આસામમાં આવેલા પૂરની સાથે કોરોના મહામારીના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો.


પીએમ મોદીએ કહ્યું, લોકોએ માસ્ક પહેરીને રાખવું જોઈએ, બે મીટરનું અંતર રાધવું જોઈએ, સતત હાથ ધોતા રહેવું જોઈએ અને ગમે ત્યાં ન થૂંકવું જોઈએ. કોરોના વાયરસ સામે બચાવતા આ બધા આપણા હથિયાર છે.

કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મોદી સતત માસ્ક પહેરીને કંટાળી જતા લોકોને મોટી સલાહ આપી હતી. તેમણે કહ્યું, હું તમને આગ્રહ કરું છું કે જ્યારે પણ તમને માસ્કના કારણે પરેશાની થાય, તેને ઉતારી દેવાનું મન થાય ત્યારે ક્ષણભર તે ડોક્ટરોનું સ્મરણ કરો, તે નર્સોનું સ્મરણ કરો, આપણા કોરોના વોરિયર્સનું સ્મરણ કરો. જેઓ માસ્ક પહેરીને કલાકો સુધી આપણા બધાનું જીવન બચાવવામાં લાગ્યા છે. કોરોના શરૂઆતમાં જેટલો ઘાતક હતો તેટલો જ આજે પણ છે તે વાત ધ્યાનમાં રાખવાની છે. તેથી પૂરી સાવધાની રાખવાની છે.



સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 705 લોકોના મોત થયા છે અને 48,661 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે.