નવી દિલ્હીઃ  નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ફરી લોકડાઉન લાદવા વિચારી રહી હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી છે. આ અટકળોને દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ફગાવી દીધી છે. તેના બદલે તેમણે રાજ્યોને અનલોક-2ની તૈયારી કરવા કહી દીધું છે.


બુધવારે કોરોના સામેની લડાઈ અને લોકડાઉન ઉઠાવી લઈને જાહેર કરાયેલી અનલૉક-1ની સમીક્ષા માટે મોદીએ  દેશનાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં  વડાપ્રધાન મોદીએ લૉકડાઉન લગાવવા અંગે પુન:વિચાર કરવાની અટકળોને ફગાવી દીધી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે લૉકડાઉનની અફવાથી લડવા અને અનલૉક-2ની તૈયારી શરૂ કરે. આપણે હવે અનલૉક-2 પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ એ પણ કે લોકોને નુકસાનથી કઈ રીતે બચાવીએ. દેશમા કોરોનાથી સાજા થયા લોકોની સંખ્યા 2 લાખના નજીક પહોંચી ગઈ છે.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ  લોકડાઉન નહીં લદાય તેવા સ્પષ્ટ સંકેત આપ્યા. ઉલટાનું મોદીએ વધારે છૂટછાટો આપવાનો સંકેત આપતાં આ બેઠકમાં  મોદીએ કહ્યું કે, આપણે કોરોનાને જેટલો અટકાવીશું તેટલું જ આપણું અર્થતંત્ર ખૂલશે એ જોતાં હવે અનલોક-2ની તૈયારી શરૂ કરી દો.