કોરોના વાયરસની બીજી લહેરે દેશની સ્થિતિ કફોડી કરી દીધી છે. દુનિયાના કોઇ દેશમાં આટલા કેસ સામે ન હતા આવ્યાં તેટલા ભારત દેશમાં આવી રહ્યાં છે. સંક્રમણને રોકવા માટે રાજ્યોના કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન લગાવી દેવાયું છે. મહામારીના સમસ્યમાં ગરીબોને ભોજન માટે હેરાન ન થવું પડે માટે PM મોદીએ મફત રાશન અપવાનો નિર્ણય કર્યો છે. આ મુદે આજે મહત્વની જાહેરાત કરી છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન મફત આપવાની જાહેરાત કરી છે.  કેન્દ્ર સરકાર ગરીબોને મે અને જૂન 2021ની વચ્ચે મફત રાશન આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ પાંચ કિલો રાશન આપવામાં આવશે. મફત રાશનની આ યોજનાથી લગભગ 80 કરોડ લોકોને ફાયદો થશે. ગત વર્ષે કોવિડની મહામારીની પહેલી લહેરમાં પણ પીએમ મોદીએ ગરીબોને મફત રાશન આપવાની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર આ યોજના માટે અદાજિત 26 હજાર કરોડ રૂપિયા ખર્ચશે.


ઉલ્લેખનિય છે કે, દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 193,279 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.


સતત નવમાં દિવસે બે લાખથી વધુ કેસ


દેશમાં સતત નવમાં દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ત્રીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 24 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.