સમગ્ર દુનિયામાં કોરોનાનો કાળો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે અને અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ કેસો સાથે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. આ સ્થિતિ વચ્ચે કેટલાંક રાજ્યોમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે સમગ્ર ભારતમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી સલાહ નિષ્ણાંતો આપી રહ્યા છે.


AIIMSના વૈજ્ઞાાનિક અને પ્રોફેસર આનંદ કૃષ્ણને જણાવ્યું હતું કે, અમેરિકા અને બ્રાઝિલ જેવી સ્થિતિ ન જોવી હોય તો આપણે પણ સમગ્ર ભારતમાં ફરી લોકડાઉન જાહેર કરતાં અચકાવું જોઈએ નહીં. AIIMSના વિષાણુવિજ્ઞાાની પ્રોફેસર ડો. આનંદ કૃષ્ણને જણાવ્યું હતું કે, ભારતમાં ત્રણ મહિનાનું લોકડાઉન ત્યારે જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે દેશમાં માત્ર એક હજાર જ કેસ હતા.

જોકે ઓછા ટેસ્ટિંગને કારણે કોરોના વાઈરસનો વિસ્તાર અને સંક્રમણના સ્ત્રોતની જાણકારી ન મળી શકી. તેથી અગાઉ જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તેમાં સરકારે જોઈએ તેટલી ગતીએ ટેસ્ટિંગ કર્યું નહોતું. જોકે હાલ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 10 લાખ સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં સરકારે ફરી લોકડાઉન જાહેર કરવું જોઈએ.

જે રાજ્યોમાં કોરોનાના કેસો સૌથી વધુ છે ત્યાં દરરોજ ઓછામાં ઓછા એક લાખ લોકોનું ટેસ્ટિંગ કરવું જોઈએ તો જ આપણે કોરોના સામેના આપણા લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકીશું. નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઇ છે.