2021નું વર્ષ નરેન્દ્ર મોદી માટે કેવું હશે ? કોરોનાના કારણે ક્યાં સુધી સાચવવું પડશે ? જાણો જ્યોતિષી દારૂવાલાની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2020 10:03 AM (IST)
દારૂવાલાએ આગાહી કરી છે કે, નરેન્દ્ર મોદી માટે આવનારૂ વર્ષ શુભ ફળદાયી રહેશે.
અમદાવાદઃ 2020નું વર્ષ સમાપ્ત થવામાં છે અને 2021નું વર્ષ શરૂ થવા આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 2021નું વર્ષ કેવું રહેશે એ અંગે જાણીતા જ્યોતિષિ ચિરાગ દારૂવાલાએ રસપ્રદ આગાહી કરી છે. દારૂવાલાએ આગાહી કરી છે કે, નરેન્દ્ર મોદી માટે આવનારૂ વર્ષ શુભ ફળદાયી રહેશે. એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલાએ ભવિષ્યવાણી કરી છે કે, મોદીજી પર ભગવાન શંકર અને ગણેશજીની ઘણી જ કૃપા હોવાથી મોદી હજુ સફળતા મેળવશે. તેમણે કહ્યું છે કે, મોદીની કુંડળીમાં ગુરુ અને મંગલ પ્રબળ છે તેથી કોરોનાકાળમાં મોદીને ગુરુ અને મંગળ ગ્રહે મદદ કરી છે. મોદી હજુ લાંબી રેસનો ઘોડો સાબિત થશે. મોદીજી આગને બરફ બનાવનાર વ્યક્તિત્વ છે અને તેમની કુંડળીની ગ્રહદશા તેમને સફળ બનાવે છે. તેમણે આગાહી કરી છે કે, માર્ચ 2021 બાદ દેશની પરિસ્થિતિ સુધરશે અને દેશની આર્થિક પરિસ્થિતિ હવે સુધરશે. તેમણે આગાહી કરી છે કે, 2021નું વર્ષ ભારત માટે એક નવી ઉર્જા અને નવી આશાઓ લઈને આવશે. કોરોનાની વેકસીન આવી ગઈ હશે. આ બિમારી ધીરેધીરે દૂર થશે પરંતુ આગામી 2 કે 3 વર્ષ માટે આ બિમારીથી સાચવવું પડશે. કોરોનાકાળના કારણે જ સમગ્ર વિશ્વમાં ભારતનું મહત્વ વધશે.