દેશભરમાં ક્યારથી ખૂલશે સ્કૂલ અને કોલેજો ? એચઆરડી મંત્રીએ શું કહ્યું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2020 08:32 AM (IST)
એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરો સાથે વાત કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના એક શિક્ષકે સ્કૂલ ક્યારે ખૂલશે અને કયા નિયમોનું પાલન કરવું પડશે તેવો પ્રશ્ન કર્યો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં સ્કૂલ-કોલેજો માર્ચ મહિનાથી બંધ છે, પરંતુ આ દરમિયાન ક્યારથી ફરી ખુલશે તેની ચર્ચા થઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખી એનસીઈઆરટી સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલ પર કામ કરી રહી છે, જેનું ફરીથી સ્કૂલો ખૂલ્યા બાદ ફરજિયાત પાલન કરવું પડશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, એનસીઈઆરટી સ્કૂલ એજ્યુકેશનને લઈ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરો સાથે વાત કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના એક શિક્ષકે સ્કૂલ ક્યારે ખૂલશે અને કયા નિયમોનું પાલન કરવું પડશે તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, બધું ક્યારે સામાન્ય થશે તે ન કહી શકાય પરંતુ જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ માટે એનસીઈઆરટીએ ગાઈડલાઈન પર કામ કરવાનું શરૂ કર્યું છે. હાયર એજ્યુકેશન માટે યુજીસીએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. જે કોલેજો ક્યારે ખોલવા પર કામ કરી રહી છે. એનસીઈઆરટી પહેલા જ પ્રાયમરી, ઉચ્ચ પ્રાથમિક અને હાયર સેકેન્ડરી કક્ષાઓ માટે વૈકલ્પિક એકેડમિક કેલેન્ડર જાહેરકરી ચુકી છે. દેશભરમાં સ્કૂલના બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એચઆરડી મંત્રીએ આજે વેબિનાર દ્વારા ટીચરોના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં મોટાભાગના સવાલ સ્કૂલ-કોલેજો ફરીથી ખોલવા અને ઓનલાઈન એજ્યુકેશન સંબંધિત હતા. વેબિનારમાં કેન્દ્રીય મંત્રીએ ફરી એક વખત ડિજિટલ પહલ દીક્ષા અને નિષ્ઠા ના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. શિક્ષક ઓનલાઈન ટ્રેનિંગ માટે આ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી શકે છે.