નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરના ડીજી પ્રોફેસર ડોક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે, ભારતમાં કોરોના વાયરસનું કોમ્યૂનિટી ટ્રાન્સમિશન હજુ થયું નથી.


બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારત એવા દેશોમાં છે જ્યાં પ્રતિ લાખ લોકો પર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી છે. તેની સાથે સાથે પ્રતિ લાખ લોકોએ વાયરસથી મરનારા લોકોની સંખ્યા પણ ભારતમાં અન્ય દેશની તુલનામાં ઘણી ઓછી છે. ભારત ઘણો મોટો દેશ છે જ્યાં આ બીમારીનો વ્યાપ ઘણો ઓછો છે. ચોક્કસપણે ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં નથી. દેશમાં અત્યાર સુધી માત્ર 0.73 ટકા લોકોને કોરનાનો ચેપ લાગય્ો છે અને અહીં કોરોનાથી મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના પીડીત લોકનોી સંખ્યા 2,86,579એ પહોંચી ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 8,102 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં 1,37,448 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ  49.21% છે, હવે દેશમાં રિકવર થઈ ગયેલા લોકોની સંખ્યા એક્ટિવ કેસ કરતાં વધી ગઈ છે. 11 જૂન સુધી આપણા દેશમાં 1,41,028 લોકો રિકવર થયા છે.

વિશ્વભરમાં કરોડો લોકો કોરોના મહામારીનો સામો કરવા માટે વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાની કંપની મોડર્ના વેક્સીન બનાવવાની ખૂબ જ નજીક છે. કંપની અંતિમ તબક્કાનું ટ્રાયલ ટૂંકમાં જ શરૂ કરવાની છે.