નવી દિલ્લીઃ કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ચર્ચા કરવા માટે બોલાવાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનારા કોંગ્રેસના 23 નેતાઓને તતડાવી નાંખ્યા હતા.


રાહુલે સોનિયાને પત્ર લખનારા નેતાઓને સવાલ કર્યો હતો કે, સોનિયા ગાંધીની તબિયત સારી નથી ત્યારે આ પ્રકારનો પત્ર લખવો કેટલો યોગ્ય છે ? બેઠકમાં રાહુલે કહ્યું કે, સોનિયા ગાંધીને પત્ર લખનાર 23 નેતાઓનો જવાબ માંગવામાં આવશે.

રાહુલે આ બેઠકમાં કહ્યું કે. સોનિયા ગાંધી તો વચગાળાનાં પ્રમુખ બનવા નહોતાં માગતાં પણ તેમણે આ જવાહજારી પક્ષના હિતમાં ઉઠાવી. હવે એ હોસ્પિટલમાં છે ત્યારે તેમની સામે સવાલ કરવા કેટલા અંશે યોગ્ય છે ?

CWCની વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી અને ડો. મનમોહનસિંહ ઉપરાંત પ્રિયંકા ગાંધી. એ.કે. એન્ટની, કેપ્ચન અમરિન્દરસિંહ, ભુપેશ બઘેલ સહિતના ટોચના નેતાઓ હાજર છે.

આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોટો ધડાકો કરતાં કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે સોનિયા ગાંધીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી છે. ડો. મનમોહનસિંહે સોનિયાને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી છે.