સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ વરસાદ શરૂ છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદને લઈ આગાહી કરી છે. મહત્વની વાત એ છે કે, અમેરિકી હવામાન વિભાગનું કહેવું છે કે, પ્રશાંત મહાસાગરમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2020થી ‘લા નિનો’ની અસર જોવા મળે તેવી સંભાવના છે. ‘લા નિનો’ને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસાની વિદાય મોડેથી થાય તેવી સંભાવના છે. આની અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે જેને કારણે તીવ્ર ઠંડી જોવા મળશે.


‘અલનિનો’માં હવા નબળી પડે છે અને ગરમી વધારે પેદા કરે છે. જ્યારે ‘લા નિનો’માં હવા મજબૂત બને છે અને ઠંડી વધારે પેદા થાય છે. બંને સ્થિતિ આપણા હવામાનને અસર કરે છે. ‘અલનિનો’ દરમિયાન મધ્ય અને ભૂમધ્ય પ્રશાંત મહાસાગર ગરમ થાય છે જેનાથી સમગ્ર ભૂમંડલની હવાની પેટર્ન બદલાતી હોય છે.

જેને કારણે આફ્રિકાથી લઈ ભારત અને અમેરિકા સુધી જળવાયુને અસર પહોંચે છે. ‘અલનિનો’ની સ્થિતિમાં ભારતમાં ચોમાસું અનિયમિત થાય છે અને દુષ્કાળ પડે છે. જ્યારે ‘લા નિનો’ની સ્થિતિમાં ચોમાસામાં વધુ વરસાદ આવે છે અને અનેક ઠેકાણે પૂરની સ્થિતિ સર્જાય છે. ‘અલનિનો’ કે ‘લા નિનો’ અંદાજે 9થી 12 મહિના સુધી રહે છે.

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના જળવાયુ વિજ્ઞાની રઘુ મુર્તુગ્દે જણાવ્યું હતું કે, મધ્ય ભારત અને પશ્ચિમી કાંઠે હાલમાં સામાન્યથી લઈ સામાન્ય વરસાદ થયો છે. પરંતુ ‘લા નિનો’ને કારણે હવે ઓગસ્ટના બાકી દિવસોમાં અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના જોવા મળી રહી છે. સપ્ટેમ્બર સૌથી વધુ વરસાદવાળો મહિનો બની શકે છે અને તેને કારણે વર્તમાન ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ શકે છે.

‘લા નિનો’ ભારતની ઠંડીને પણ અસર કરશે. જેને કારણે ઉત્તર-દક્ષિણમાં હળવા દબાણનું ક્ષેત્ર બનશે. જેનાથી સાઈબિરિયાની હવા અહીં પહોંચશે તો ભારતના દક્ષિણ ભાગ સુધી તેની અસર જોવા મળશે. જે વર્ષ લા નિનો બને છે તે વર્ષે મહાબળેશ્વરમાં ઝાકળ પડે છે અને તમિલનાડુના પહાડી વિસ્તારમાં ઠંડી વધુ તીવ્ર બને છે.

બીજી બાજુ ભારતીય હવામાન વિભાગ પૂણેના વિજ્ઞાની ડો. ડી.એસ.પાઈએ જણાવ્યું હતું કે, ‘લા નિનો’ની સંભાવના તેમણે ઘણાં સમય પહેલા જ વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં 104 ટકા વરસાદની સંભાવના છે. જોકે કેટલાક હવામાન મોડલ જણાવે છે કે, ઈન્ડિયન ડાયપોલ નેગેટિવ થઈ શકે છે અને પછી સામાન્યથી વધુ વરસાદ થશે.