General Knowledge: જેમ આપણા દેશમાં અલગ અલગ બાબતો માટે કાયદા છે, તેવી જ રીતે લોકસભા બેઠકોના વિતરણ માટે પણ કેટલાક નિયમો છે. રાજ્યની વસ્તી જેટલી વધુ હશે, તેટલી વધુ બેઠકો મળશે. ભારતીય બંધારણ મુજબ, લોકસભામાં મહત્તમ 552 બેઠકો હોઈ શકે છે, પરંતુ ચૂંટણીઓ ફક્ત 543 બેઠકો પર જ કેમ યોજાઈ છે? છેલ્લા કેટલાક વર્ષોમાં, નવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ લોકસભામાં ફક્ત 543 બેઠકો છે, આવું કેમ છે? ચાલો જાણીએ આ પાછળનું સત્ય.
લોકસભામાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે?
ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને લોકસભા તેનું નીચલું ગૃહ છે. જે દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 81 મુજબ, લોકસભામાં મહત્તમ 552 સભ્યો હોઈ શકે છે. આમાંથી, 530 બેઠકો રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 20 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનામત છે. આ ઉપરાંત, બે બેઠકો એંગ્લો-ઇન્ડિયન સમુદાય માટે નામાંકન દ્વારા ભરી શકાય છે.
ચૂંટણી ફક્ત 543 બેઠકો પર જ કેમ થાય છે?
પરંતુ, હવે પ્રશ્ન એ છે કે જો બંધારણમાં 552 બેઠકોની જોગવાઈ છે, તો તે 543 બેઠકો પર કેમ અટકી ગઈ? તો ચાલો તમને જણાવી દઈએ કે 1952માં પહેલી લોકસભામાં 497 બેઠકો હતી. નવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના થતાં બેઠકોની સંખ્યા વધતી ગઈ. 1956માં બંધારણીય સુધારા પછી, કેન્દ્રશાસિત પ્રદેશો માટે 20 બેઠકો ઉમેરવામાં આવી. જેનાથી મહત્તમ મર્યાદા 520 થઈ ગઈ. પછી, 1976 સુધીમાં, બેઠકો વધીને 545થઈ ગઈ, જેમાં 543 ચૂંટાયેલી અને 2 નામાંકિત (એંગ્લો-ઇન્ડિયન) બેઠકોનો સમાવેશ થતો હતો.
બેઠકોમાં વધારાની શક્યતા
1976માં, સીમાંકન પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે 2001 સુધી અમલમાં રહ્યો. 91મા બંધારણીય સુધારા હેઠળ, આ પ્રતિબંધ 2026 સુધી લંબાવવામાં આવ્યો. આનો અર્થ એ થયો કે 2026 સુધી, લોકસભાની બેઠકો ફક્ત 543 જ રહેશે. પરંતુ, 2026 ના સીમાંકન પછી, એવી શક્યતા છે કે લોકસભા બેઠકોની સંખ્યા વધી શકે છે. તમને જણાવી દઈએ કે વસ્તીના આધારે લોકસભા બેઠકોની સંખ્યાને સમાયોજિત કરવાની પ્રક્રિયાને સીમાંકન કહેવામાં આવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે સીમાંકન પછી, 2029 માં લોકસભા ચૂંટણી 543 ને બદલે 750 બેઠકો માટે યોજાઈ શકે છે. જો કે, સાચો આંક તો સિમાંકન બાદ જ સામે આવશે.