નવી દિલ્હીઃ આગામી સમયમાં કોલેજ પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બરમાં ફરજીયાત પરીક્ષા આપવી પડશે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, યૂજીસીના દિશાનિર્દેશો અનુસાર હવે પ્રથમ અને બીજા વર્ષના કોલેજના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવી પડશે. જોકે દાવો ખોટો નીકળ્યો છે. સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે.


સરકાર તરફથી પીઆઈબી ફેક્ટ ચેકે સોસિયલ મીડિયા પર આ મામલે સ્પષ્ટતા કરતાં ટ્વીટ કર્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટમાં એ દાવાને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજના પ્રથમ અને બીજા વર્ષા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરજિયાત આપવી પડશે. પીઆઈબીએ જણાવ્યું કે, એક સમાચાર ચેનલની એડિટ કરેલી એટલે કે #Morphed તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, યૂજીસીના નવા દિશાનિર્દેશો અનુસાર હવે કોલેજના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવી પડશે. પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાને નકલી ગણાવ્યો છે. યૂજીસી દ્વારા આવી કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી.


યૂજી-પીજીના પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકાર દિશા નિર્દેશ પહેલા જ આપી ચૂકી છે. પ્રમોટ પહેલાની પરીક્ષામાં મેળવેલા માર્ક્સને આધારે કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પ્રમોટ પ્રક્રિયાથી સંતુષ્ટ નહીં હોય તેમની સ્થિતિ સામાન્ય થયા બાદ અલગથી પરીક્ષાઓ કરાવવામાં આવશે.