નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોગ્રેસના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોગ્રેસ સરકારની રચના માટે શુક્રવારે મોડી રાત્રે અથવા શનિવારે સવારે દાવો રજૂ કરશે. મલિકે કહ્યું કે, ત્રણેય પક્ષો પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવાને પ્રાથમિકતા આપશે. મલિકે કહ્યું કે મુખ્યમંત્રી શિવસેનાનો હશે. શિવસેના અને એનસીપી દ્ધારા મુખ્યમંત્રીનું પદ અઢી-અઢી વર્ષ માટે રાખવાના રિપોર્ટ પર મલિકે કહ્યું કે, પક્ષો માટે આ મુદ્દો મહત્વનો નથી. મહત્વપૂર્ણ એ છે કે સરકાર પાંચ વર્ષ ચાલે, લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. અમારી પ્રાથમિકતા જલદીમાં જલદી સરકાર બનાવવાની છે.


નોંધનીય છે કે શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગણી કરતા ભાજપ સાથે 30 વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું હતું જેને કારણે રાજ્યમાં રાજકીય સંકટ પેદા થયું હતું. રાજ્યમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી  લડી હતી અને ગઠબંધનને બહુમત મળી હતી જેમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. બીજી તરફ કોગ્રેસ અને એનસીપીએ સાથે મળી ચૂંટણી લડી જેમાં કોગ્રેસે 44 અને એનસીપીએ 54 બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાજ્યમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.