મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા માટે શિવસેના,એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે ચાલી રહેલી બેઠક પૂર્ણ થઈ છે. શરદ પવારે જાહેરાત કરતા કહ્યું મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ધમાસાણનો આજે અંત આવ્યો છે. મહારાષ્ટ્રમાં નવા મુખ્મમંત્રી શિવસેનાના બનશે અને તે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હશે.




રવિવાર અથવા સોમવારે ત્રણેય દળ રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. વિધાનસભા સ્પીકર પદને લઈને ત્રણેય દળોમાં પેચ ફસાયેલો છે. એનસીપી અને કૉંગ્રેસે સ્પીકર પદ પર દાવો કર્યો છે.

ત્રણેય દળોની મળેલી બેઠકમાં શરદ પવાર, અહમદ પટેલ, પૃથ્વીરાજ ચૌહાણ, બાલાસાહેબ થોરાટ, શિવસેના નેતા સુભાષ દેસાઇ, એકનાથ શિંદે, જયંત પાટિલ અને પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલતો રાજકીય ડ્રામા હવે ખતમ થયો છે. આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે રાજ્યમાં તેમની પાર્ટીના નેતૃત્વવાળી સરકાર બનવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.