Wrestlers Protest News: મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે મંગળવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં મહિલા કુસ્તીબાજોના વિરોધ પર રામાયણનો સંદર્ભ આપ્યો હતો. તેમણે કહ્યું કે 'વિનેશ ફોગાટ તેના માટે મંથરા બનીને આવી છે'.


વિનેશ ફોગાટને ગણાવી મંથરા


અયોધ્યામાં 5 જૂને યોજાનારી જનજાગૃતિ રેલી માટે ભીડને એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લામાં જનસંપર્ક દરમિયાન મંગળવારે એક સભાને સંબોધતા તેમણે કહ્યું, "મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ આજે એ જ કામ કરી રહી છે જે મંથરાએ ત્રેતાયુગમાં કર્યું હતું." કૈસરગંજના ભાજપના સાંસદ, બ્રિજ ભૂષણે કહ્યું, "પહેલાં હજારો કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા અને હવે માત્ર ત્રણ યુગલો (પતિ અને પત્ની) બાકી છે. સાતમું કોઈ નથી. જે દિવસે પરિણામ આવશે, અમે મંથરાનો પણ આભાર માનીશું."


ભાજપના સાંસદનો જવાબ


રામાયણ અનુસાર મંથરાની ઉશ્કેરણી પર જ કૈકેયીએ દશરથને રામને ચૌદ વર્ષ માટે વનવાસમાં મોકલવાનો આગ્રહ કર્યો હતો. બ્રિજ ભૂષણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો આજ સુધી કહી શક્યા નથી કે તેમની સાથે ક્યારે, ક્યાં અને શું થયું અને કેવી રીતે થયું?


ડોનાલ્ડ ટ્રમ્પનું પણ લીધું નામ


સાંસદે તેમની સામેના કેસની તુલના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેસ સાથે કરી હતી. તેમણે જાહેર સભામાં કહ્યું, 'તમે ભાગ્યશાળી છો કે આવો મામલો સામે આવ્યો છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને પણ પરેશાન થવું પડ્યું હતું. હું કહું છું કે આ કાવતરું આજનું નથી. ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. જો કે આના માધ્યમથી કૈંક સારો જ ફેસલો આવવાનો છે.


તેમણે કહ્યું, “આ કોઈ આરોપ નથી, અસ્પૃશ્યતાનો મામલો છે. ગુડ ટચ-બેડ ટચની વાત છે. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ આરોપ મારા પર નથી આવ્યો. તેના બદલે, ભગવાને મને આ આરોપ સામે લડવા માટે એક વાહન બનાવ્યું છે." અગાઉ 21 મેના રોજ બ્રિજ ભૂષણે કહ્યું હતું કે તે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, જો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને પણ આ જ ટેસ્ટ કરવામાં આવે.