Wrestlers Protest:  નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે મોડી રાત્રે થયેલા હંગામા બાદ ગુરુવારે (4 મે) સવારે કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કુસ્તીબાજોએ કહ્યું હતું કે તેમની લડાઈ સરકાર કે વિપક્ષ સાથે નથી પરંતુ તેમની લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહ સાથે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુસ્તીબાજોની સાથે દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલ પણ હાજર રહ્યા હતા.






પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે જો ખેલાડીઓને સાંભળવામાં નહી આવે અને તેમને ન્યાય ન મળી શકે તો સરકારે તેમના મેડલ અને એવોર્ડ પાછા લઈ લેવા જોઈએ. પૂનિયાએ કહ્યું હતું કે અમે અમારો મેડલ સરકારને પરત કરીશું. આવા મેડલનું અમે શું કરીશું?






આંદોલનનું રાજનીતિકરણ કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ - પૂનિયા


પૂનિયાએ કહ્યું હતું કે આ આંદોલનને જાણીજોઈને રાજકીય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમારું આંદોલન ન્યાય માટે છે અને તેને દરેકનું સમર્થન મળી રહ્યું છે. પૂનિયાએ કહ્યું કે પીટી ઉષા પણ ગઈ કાલે અમારી પાસે આવ્યા હતા. પૂનિયાએ કહ્યું હતું કે જ્યારથી એફઆઈઆર નોંધાઈ છે ત્યારથી અમારી સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. તેને રાજકારણ અને જાતિ સાથે જોડીને અમને નબળા બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


ફોગાટે લગાવ્યો ગાળ આપવાનો આરોપ


વિનેશ ફોગાટે કહ્યું હતું કે મને ગાળો આપવામાં આવી છે, પોલીસનું વર્તન આક્રમક હતું. અમે બેડ મંગાવ્યા હતા. રાત્રે જ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસકર્મી દારૂ પી રહ્યો હતો. પોલીસકર્મી નશામાં હતો. વિનેશે એમ પણ કહ્યું કે તે પોતાનો મેડલ પરત કરવા તૈયાર છે.


વિનેશ ફોગાટે કહ્યું હતું કે આટલું અપમાન કરવામાં આવ્યું છે. સન્માનની લડાઈ લડવા આવ્યા હતા અને અહીં પગ તળે કચડી નાખવામાં આવી રહ્યા છે. અહીં અમને મા-બહેનોની ગાળો આપવામાં આવી રહી છે.