નવી દિલ્હીઃ દેશમાં કોરાનાએ ફરીથી ઉથલો માર્યો છે.  રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈ કેન્દ્ર સરકાર રસી પરનો પ્રતિબંધ હટાવે તેવી માંગ પણ ઉભી થઈ શકે છે. આ અંગે એઇમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.


તેમણે એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું કે, સરકારે રસીકરણ માટે જે પ્રાથમિકતા ગ્રુપ બનાવ્યા છે તેમાં કોઇ ફેરફાર નહીં થાય. સરકારે જે નિયંત્રણો મુક્યા છે તે હળવા નહીં કરવામાં આવે. યુવાનોને વૃદ્ધો કે વડીલો પહેલા રસી આપવી અયોગ્ય ગણાશે, કારણકે આ લોકોને સંક્રમિત થવાનું જોખમ વધારે હોય છે.


દરરોજ વધતા કોરોનાના નવા કેસને કારણે એવી માંગ ઊભી થઈ છે કે કેન્દ્ર સરકાર રસી પરના પ્રતિબંધ હટાવે જેના કારણે વધારે લોકોને રસી મળી શકે. એવામા એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું કહેવુ છે કે જે લોકોને કોરોનાને કારણે મોતનો ખતરો વધુ છે તેમની પહેલા યુવાનોને રસી આપવી તે ખોટુ થશે.  તેમણે જણાવ્યુ  કે સરકારે જે પ્રમાણે રસીકરણ માટે પ્રાથમીકતા સમુહ બનાવવામાં આવ્યુ છે તે પ્રમાણે જ રસીકરણ ચાલુ રહેશે. તેમનું ધ્યાન દેશમાં કોરોનાનાં સેકન્ડ વેવને નાથવા માટે કોવીડ-19 ના લક્ષણો  તેમજ તેના ટેસ્ટીંગ અને ટ્રેસિંગ પર રહેશે.


શું તમામ નાગરીકો માટે રસીના દ્વાર ખોલી નાખશે સરકાર ? 


ડૉ. ગુલેરીયાએ જણાવ્યુ કે સામાન્ય સ્થિતિમાં કોઈને પણ બધા પુખ્ત વયના લોકોને રસી આપવી હોય પરંતુ એ પણ સમજવું જોઈએ કે તેના માટે રસીના ડોઝ પુરતા પ્રમાણમાં ઉપલ્બધ હોવા જોઈએ. જો તમે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને એટલે કે 90 કરોડ લોકોને રસી આપવાનુ વિચારો તો તેના માટે 2 બિલિયન ડોઝની જરૂર પડશે જે શક્ય નથી. જેને લઈને સરકારે જે રસીકરણનો કાર્યક્રમ ગોઠવ્યો છે તે પ્રમાણે બે સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને રસીકરણ કરવું જોઈએ. પ્રથમ સિધ્ધાંત એ કે કોરોનાને કારણે જે લોકોને મોતનો ખતરો વધુ છે તેમને પહેલા રસી આપવામાં આવે, અને બીજો સિધ્ધાંત એ કે ફ્રન્ટ લાઈન વર્કર અને આરોગ્યકર્મીઓ કે જેઓ કોરોનાની સામે રોજ લડી રહ્યા છે તેમને રસી આપવામાં આવે કેમ કે તેઓ આપણે આપણી કોરોના સામેની સેનાને ગુમાવવા નથી માંગતા તેથી તેમની સુરક્ષા કરવી જોઈએ. એકવાર આ તબક્કો પુરો થાય પછી જો રસીના પુરતા ડોઝ હશે તો અન્ય લોકોને પણ રસી આપવામાં આવશે. આ કારણે રસી આપવા માટેની જે પ્રાથમિકતા ન માત્ર ભારતીય ગાઈડલાઈન પ્રમાણે પણ ઈંટરનેશનલ ગાઈડલાઈન પ્રમાણે નક્કી કરવામાં આવી છે. અત્યારે પડકાર એ જ છે કે વધુમાં વધુ લોકોને વહેલામા વહેલી તકે અને બગાડ ન થાય તે રીતે રસી આપવામા આવે. જે ટેક્નોલોજી નથી વાપરતા અને બાકી રહી જાય છે તે બાકી ન રહી જાય તેનુ પણ ધ્યાન રાખવામાં આવશે.


50  વર્ષથી  વધુ ઉંમરનાને ક્યારે રસી આપવામા આવશે? 


એકવાર 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને તેમજ તમામ કોમોર્બીડ દર્દીઓને રસી અપાઈ જાય બાદમાં જો પુરતા ડોઝ હશે તો સરકાર આ કદમ ઉઠાવશે. હું આશા રાખુ છુ કે બને તેટલો જલ્દી આ  તબ્કકો આવે. ગાઈડલાઈન પ્રમાણે પણ જે લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે તેમજ 50 વર્ષથી નાના કોમોર્બીડ કંડિશન ધરાવતા લોકોને આ તબક્કામાં રસી આપવામાં આવશે.



ક્યા કારણે મોટા પ્રમાણમાં રસી બગડે છે ?


આ પ્રશ્નના જવાબમાં ડૉ. રણદીપ ગુલેરીયાએ કહ્યુ કે રાજ્યોએ એક નીતિ બનાવવી જોઈએ જેના કારણે રસીનો બગાડ ન થાય.  આપણે સમજવુ જોઈએ કે રસીની એક વાયલમાં 20 ડોઝ હોય છે તેથી તમારે એ પ્રકારનું પ્લાનિંગ કરવું જોઈએ કે જેનાથી તમને ખબર પડે કે કેટલી વાયલ ખોલવી જોઈએ. એવુ પણ બને કે દિવસના અંતમા તમે વાયલ ખોલો અને રસી મુકાવનારા બે લોકો જ હોય ત્યારે બાકીના 18 ડોઝ બગડશે. આ કારણે એક પ્લાનિંગ હોવુ જોઈએ કે જેથી રસી મુકાવનારો લોકોની સંખ્યા અને વાયલની સંખ્યા વચ્ચે બેલેન્સ આવે. 



શું  હર્ડ ઈમ્યુનિટી એ જ એકમાત્ર કોરોનાને હરાવવાનો ઉપાય ? 


ડૉ. રણદીપ ગુલેરીયાનું કહેવુ છે કે મને ખુદને એવુ લાગે છે કે હર્ડ ઈમ્યુનિટી વિકસતા ખૂબ વાર લાગશે. કદાચ આપણે તે મેળવી પણ ના શકીએ કેમકે આપણે ધારી રહ્યા છીએ કે વાયરસ નહી બદલાય. વાયરસ મ્યુટેટ થયા રાખશે તેથી એવુ પણ બની શકે કે વાયરસ એટલો મ્યુટેટ થાય કે જે લોકો 6-7 મહિના પહેલા સંક્રમિત થયા છે તેઓની નવા સ્ટ્રેઈન સામે ઈમ્યુનિટી ઓછી હોય. આ કારણે મને એવુ લાગે છે કે આપણે રસીનો એવો વિકલ્પ શોધવો જોઈએ જે કોરોનાના ગમે તે વેરીએન્ટ અને મ્યુટન્ટ સામે સુરક્ષા પુરી પાડે.