ઉત્તરપ્રદેશના ડૉક્ટરોને લઈ યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ પીજી કર્યા બાદ ડૉક્ટરોએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવા આપવી પડશે. સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવે આ સંબંધમાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે જો કોઈ અધ વચ્ચે નોકરી છોડવા માંગે છે તો તેને એક કરોડ રૂપિયાની રકમ દંડ તરીકે યૂપી સરકારને આપવી પડશે.


યોગી સરકારના નિર્ણયમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડૉક્ટરે તાત્કાલિક નોકરી જોઈન કરવી પડશે. પીજી બાદ સરકારી ડૉક્ટરોને સીનિયર રેજિડેંસીમાં રોકાવા પર પણ રોક લગાવવામાં આવી છે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ તરફથી આ સંબંધમાં એનઓસી નહી જાહેર કરવામાં આવે.

સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછતને પૂરી કરવા માટે સરકારે નીટ (NEET)માં છૂટની પણ વ્યવસ્થા કરી છે. ગ્રામ્ય ક્ષેત્રમાં સરકારી હોસ્પિટલમાં એક વર્ષ નોકરી કર્યા બાદ એમબીબીએસ ડૉક્ટરોએ નીટ પ્રવેશ પરીક્ષામાં 10 અંકોની છૂટ આપવામાં આવે છે. જ્યારે બે વર્ષ સેવા આપનારા ડૉક્ટરોને 20 અને ત્રણ વર્ષ પર 30 અંકની છૂટ મળે છે.