લખનઉઃ ઉત્તર પ્રદેશમાં પોસ્ટર વિવાદમાં હવે યોગી આદિત્યનાથ સરકારે નવું પગલું ઉઠાવ્યું છે. હાઇકોર્ટ દ્ધારા પોસ્ટર હટાવવાનો આદેશ આપ્યા બાદ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્ધારા હાઇકોર્ટના આદેશ પર સ્ટે નહી આપવાના ચુકાદા બાદ હવે યોગી સરકારે સરકારી અથવા પ્રાઇવેટ સંપત્તિની નુકસાનની વસૂલાત કરવાને લઇને એક વટહુકમ જાહેર કર્યો છે.


ઉત્તર પ્રદેશ રિકવરી પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી વટહુકમને શુક્રવારે સાંજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી હતી. કોઇ આંદોલન ધરણા પ્રદર્શનમાં સરકારી અથવા પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવશે તો તેની વસૂલાતની વ્યવસ્થા તેમાં કરવામાં આવશે. આ માટે નિયમો તૈયાર કરવામાં આવશે પરંતુ હાલમાં વટહુકમ લાવવામાં આવ્યો છે. નિયમોમાં આ વાતને પણ સ્પષ્ટ કરવામા આવશે તે પોસ્ટર લગાવી શકાશે છે કે નહીં.

લખનઉમાં થયેલી હિંસા મામલામાં 57 આરોપીઓ પાસેથી નુકસાનની વસૂલાતની નોટિસ બાદ યોગી સરકારે શહેરભરમાં આ આરોપીઓના પોસ્ટર લગાવ્યા હતા. લખનઉમાં પોસ્ટર્સ લગાવ્યા બાદ હાઇકોર્ટે સંબંધિત અધિકારીઓને નોટિસ આપી હતી. કોર્ટે સરકારને પોસ્ટર હટાવવા માટે 16 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. ત્યારબાદ યુપી સરકારે પોસ્ટર્સ હટાવ્યા નહી અને સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આ કેસને ત્રણ જજની બેન્ચને ટ્રાન્સફર કર્યો હતો.